કેનેડાના ટોરોન્ટોમાં કર્ણાટકના 37 વર્ષીય ભારતીય સોફ્ટવેર એન્જિનિયરની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શનિવારે બપોરે ટોરોન્ટોમાં એક શોપિંગ મોલના પાર્કિંગમાં હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાથી ભારતીય પ્રવાસી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ ચંદન કુમાર રાજા નંદકુમાર તરીકે થઈ છે, જે ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટનનો રહેવાસી છે. તે મૂળ કર્ણાટકના બેંગ્લોર ગ્રામીણ જિલ્લાના નેલમંગલા નજીક થ્યામાગોંડલુ ગામનો વતની હતો. ચંદન છેલ્લા છ વર્ષથી કેનેડામાં રહેતો હતો અને એલ એન્ડ ટીની પેટાકંપની એલટીઆઇ માઇન્ડટ્રીમાં કામ કરતો હતો. આ પહેલા તે બેંગ્લોરમાં કોગ્નિઝન્ટ સાથે કામ કરતો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. ચંદન તેની કારમાં બેઠો હતો ત્યારે હુમલાખોરોએ વુડબાઈન શોપિંગ સેન્ટરના પ્રવેશદ્વાર પાસે અંધાધૂંધ ગોળીબાર કર્યો. ટોરોન્ટો પોલીસ સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચ્યા પછી, ચંદનને અનેક ગોળીઓ વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાના ફોટા સોશિયલ મીડિયા પર ફરતા થયા છે, જેમાં ચંદનની સફેદ કાર ગોળીઓથી વિંધાઇ ગયેલી જોવા મળે છે.
ઘટનાની ગંભીરતાને કારણે ટોરોન્ટો પોલીસે આ ઘટનાને 'ટાર્ગેટ એટેક; ગણાવી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. ટોરોન્ટો પોલીસ સર્વિસના ઇન્સ્પેક્ટર એરોલ વોટસને કહ્યું, આ એક ગંભીર ઘટના છે, ખાસ કરીને મોલમાં આ પ્રકારની ગોળીબાર જાહેર સલામતીની ચિંતાનો વિષય છે. અમારી ટીમ હત્યારાઓને શોધી રહી છે.
થ્યામાગોંડલુ ગામમાં ચંદનના માતાપિતા તેમના એકના એક પુત્રના મૃત્યુના સમાચારથી ખૂબ જ દુઃખી છે. ચંદનના પિતા નંદકુમારે મીડિયાને જણાવ્યું હતું કે, અમે ગયા શુક્રવારે તેમની સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે આ ઉનાળામાં વેકેશન પર ઘરે આવશે. અમે તેમના લગ્નનું આયોજન કરી રહ્યા હતા. અમે સંપૂર્ણપણે ભાંગી પડ્યા છીએ. પરિવારે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે ચંદન વારંવાર ભારત પાછા ફરવાની તેમની યોજનાઓ મુલતવી રાખતો હતો. પિતાએ શોક વ્યક્ત કર્યો, જો તેમણે અમારી વાત સાંભળી હોત અને પાછા ફર્યા હોત તો તે આજે અમારી સાથે હોત.
પરિવારના કેટલાક સભ્યોએ ચંદનની હત્યા અંગે અલગ શંકા વ્યક્ત કરી છે. તેઓ માને છે કે ચંદન ટોરોન્ટોમાં કન્નડ સંગઠન બનાવવાના પ્રયાસોમાં સક્રિય રીતે સામેલ હતો, જે હત્યાનું કારણ હોઈ શકે છે. જો કે, પોલીસે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ હેતુ દર્શાવ્યો નથી.
કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, આ ઘટના અત્યંત ચિંતાજનક છે. અમે એક કન્નડગી (કર્ણાટકના રહેવાસી) ગુમાવ્યા છે. અમારા પોલીસ વિભાગે મૃતદેહ પાછો લાવવા માટે વિદેશ મંત્રાલય પાસેથી મદદ માંગી છે. દરમિયાન, ચિક્કાબલ્લાપુરના સાંસદ ડૉ. કે. સુધાકરે જણાવ્યું હતું કે તેઓ ચંદનના મૃતદેહને ભારત પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. આ વર્ષે ટોરોન્ટોમાં આ ત્રીજી હત્યા છે, જેનાથી કેનેડા અને કર્ણાટક બંનેમાં કન્નડિગા સમુદાયમાં શોક અને આક્રોશ ફેલાયો છે.