ગઇકાલે દિલ્હીમાં લાલ કિલ્લા વિસ્તારમાં કાર બ્લાસ્ટ થયો હતો, જે આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ૧પ જેટલા લોકોના મૃત્યુ થયા છે. તેમજ રપ થી વધારે ઘાયલ થયા છે, આ બોમ્બ બ્લાસ્ટને લઇને સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયું છે. તેમજ ખાસ કરીને પાકિસ્તાનથી જોડાતી દરિયાઇ પટ્ટી વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવાઇ દેવાય છે તેમજ સમગ્ર દેશમાં ઠેર ઠેર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા તેમજ ડોગ, બોમ્બ સ્કવોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે. તેમજ રાજ્યની સરહદી વિસ્તાર તેમજ જિલ્લાના હાઇવે ઉપર અવરજવર કરતી તમામ ગાડીઓને ચેક કરવામાં આવી રહી છે, હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાઇ એલર્ટ કરાયું છે.

ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ હાઇએલર્ટ જાહેર કરાયું છે. જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ સંવદેનશીલ વિસ્તારો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે બોમ્બ બ્લાસ્ટ બાદ જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા તમામ પોલીસ સ્ટાફોને પોતાના વિસ્તારોમાં ચેકીંગ માટે મોકલી દેવાયા છે. તેમજ ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિત એસઓજી, એલસીબીના કાફલા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના શંકાસ્પદ વિસ્તારોમાં ઠેર ઠેર તપાસ થઇ રહ્યું છે. તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવતી તમામ ગાડીઓ, ટ્રક સહિતના વાહનોમાં ખાસ તપાસ કરાઇ રહી છે.
હાલ જગતમંદિર ખાતે વ્હેલી સવારથી જ પોલીસ સ્ટાફ દ્વારા આવતા તમામ યાત્રિકોની સઘન તપાસ કરાઇ રહી છે, બાદમાં જ દર્શનાર્થે જવા દેવામાં આવે છે. તેમજ ખાસ કરીને રેલ્વે સ્ટેશન પર રોકાણ કરેલા, બસ સ્ટેશન ખાતે તેમજ બેટ-દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્ર્વર, સલાયા પોર્ટ, ઓખા પોર્ટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં બોમ્બ સ્કવોડ દ્વારા ખાસ ચેકીંગ કરવામાં આવ્યું છે અને હાલ તમામ વિસ્તારોમાં પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત કરી લીધો છે. જાણ થતાં શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા, ભાણવડ સલાયા, કલ્યાણપુર, બેટ-દ્વારકા, ઓખા પોર્ટ, શિવરાજપુર સહિતના તમામ ભરચક્ક વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.