જામજોધપુર ભાજપના શહેર મહામંત્રી અને માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ જવા પામી છે. ક્યાં કારણોસર પગલું ભર્યું ? એ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામજોધપુર ટાઉનમાં ખરાવાડ નજીક પંચવટી નગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા પરેશ મગનભાઈ બકોરી નામના બાવન વર્ષના પટેલ વેપારીએ તા. ર૮ ના પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવને લઈને વેપારીના પરિવારમાં ભારે સોંપો પડી ગયો છે, તેમજ વેપારી આલમમાં પણ ભારે ચકચાર જાગી છે. તેઓએ ક્યાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું, તે જાણી શકાયો નથી. આ મામલામાં પ્રફુલાબેન દીપકભાઈ કનેરિયાએ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા એ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવના મામલામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.