લાલપુરના મેમાણા ગામે ત્રણ મકાનમાંથી રોકડ અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૬૬ લાખની ચોરી થયાની ફરીયાદ અજાણ્યા શખ્સો વિરુઘ્ધ દાખલ કરવામાં આવી છે તસ્કરોની રંજાડથી રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. બનાવની જાણ થતા સ્થાનીક પોલીસની ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસ લંબાવી છે. ચોરી પાછળ જાણભેદુનો હાથ છે કે કેમ એ દિશામાં પણ ચક્રો ગતીમાન કર્યા છે.
લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા અને એસબીઆઇ બેન્કમાં ગાર્ડ તરીકે નોકરી કરતા રાજેન્દ્રસિંહ તખુભા જાડેજા (ઉ.વ.૫૧)એ ગઇકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં તેમના મકાન તથા પાડોશીના મકાનમાંથી કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી રાજેન્દ્રસિંહના રહેણાંક મકાનના રસોડાની બારીની જાળી તોડી ગત તા. ૬ના રોજ અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા, મના કબાટના લોક તોડી તિજોરીમાંથી રોકડા ૩૫ હજાર તથા ૪ તોલા સોનાના ઘરેણા કિ. ૮૦ હજારની ચોરી કરી ગયા હતા.
ઉપરાંત ફરીયાદીની બાજુના મકાનમાં રહેતા સુખદેવસિંહ હરૂભા જાડેજાના કબાટમાંથી ૩૫ હજાર તથા સાહેદ પુષ્પરાજસિંહ દિલીપસિંહ જાડેજાના કબમાટના ખાનામાંથી ચાંદીની માળા તથા ચાંદીના ૬ સિકકા અને ચાંદીની એક જોડી પીન તથા ચાંદીનું નાળીયેર, ચાંદીના સાકળા, ૨ ચાંદીની સોપારી અને એક ચાંદીનું કડીયુ જેનુ કુલ વજન ૧૫૦ ગ્રામ કિ. ૭ હજાર મળી કુલ ૭૦ હજાર અને સોનાના ઘરેણા જેની કિ. ૮૭ હજાર તથા ૧૫૦ ગ્રામ ૯ હજારની કિંમતની ચાંદી મળીને કુલ રૂ. ૧.૬૬ લાખની ચોરી કરી ગયા હતા.
ફરીયાદના આધારે લાલપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, સ્થળ પર પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને વિગતો જાણી હતી, આ બનાવમાં કોઇ જાણભેદુનો હાથ છે કે કેમ એ દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. પાડોશમાં ૩ મકાનમાં હાથફેરો થતા ચકચાર મચી જવા પામી છે.