કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં બાંધવામાં આવેલી ભેંસને દોરડે બાંધીને મૂઢ માર મારી તેનું મૃત્યુ નિપજાવ્યું હતું. જે બનાવને લઈને પશુ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામના ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી કે જેઓએ પોતાની વાડીમાં ખીજડાના ઝાડ નીચે એક ભેંસ બાંધીને રાખી હતી, જે ભેંસના કોઈ અજ્ઞાત શખ્સે ચારેય પગ દોરડેથી બાંધી દીધા હતા, ત્યારબાદ તેના માથાના ભાગે તેમજ પેટના તથા શરીરના અન્ય ભાગોમાં મૂઢ માર મારી ભેંસનું મૃત્યુ નીપજાવ્યું હતું.
આ બનાવને લઈને ખેડૂત તેમજ આસપાસના પરિવારમાં ભારે અરેરાટી ફેલાઈ હતી, અને લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો. આ મામલાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ખેડૂત રમેશભાઈ દામજીભાઈ સાંગાણી દ્વારા પોતાની વાડીમાં ઘૂસી જઈ પોતાની ૭૦ હજાર રૂપિયાની કિંમતની ભેંસને બાંધી ક્રૂરતા પૂર્વક મારી નાખવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા અજાણ્યા શખ્સોની તલાશ કરવામાં આવી રહી છે.