ખીજડીયા અને રણમલ પર પક્ષીપ્રેમીઓની ઉમટી પડતી ભીડ :પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવો, ખોરાકી ઝેરથી મૃત્યુની ઘટનાઓ પુનરાવર્તિત ન થાય.
જામનગર વિદેશી પક્ષીઓ માટે શિયાળાની રાજધાની છે એમ કહી શકાય કારણકે હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ હજારો માઈલનું આકાશી અંતર કાપી જામનગર આવી ઠંડીની ઋતુ અહીં જ વીતાવે છે.આ વર્ષે પણ વિદેશી પક્ષીઓનું નોંધપાત્ર પ્રમાણમાં આગમન થઇ ચૂક્યુ છે.
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય તથા રણમલ તળાવ આસપાસનાં વિસ્તાર એ આ પક્ષીઓનાં મનપસંદ સ્થળો છે.
રણમલ તળાવમાં 'મલાર્ડ' નામનું પક્ષી પણ જોવા મળતા પક્ષી પ્રેમીઓ રોમાંચિત છે. લીલા માથાવાળું અને પીળી ચાંચ વાળુ આ બતક જેવુ લાગતુ પક્ષી ઈકો સિસ્ટમમાં અગત્યનો ભાગ ભજવે છે.
આવા વિવિધ પ્રજાતિનાં વિદેશી પક્ષીઓ નિહાળવા માટે રણમલ તળાવ પર પક્ષી પ્રેમીઓ ઉમટી પડે છે. ઉલ્લેખનીય છે કે ઘણા નાગરિકો આ પક્ષીઓને ચણની સાથે જ ગાંઠીયા પણ ખવડાવે છે.
જે ખરેખર પક્ષીઓ માટે હાનિકારક છે ગત વર્ષે ઘણા વિદેશી પક્ષીઓનાં ખોરાકી ઝેરને કારણે મૃત્યુ પણ થયા હતા ત્યારે નિષ્ણાંતો, પક્ષી પ્રેમીઓ અને તંત્ર નાગરિકોને સતત ખાસ અનુરોધ કરે છે કે પક્ષીઓને ગાંઠીયા ન ખવડાવશો કારણકે વિદેશથી આવેલા આ ઉડતા અતિથીઓની સુરક્ષા એ પણ આપણી જવાબદારી છે.