જામનગરના ગુરુદ્વારામાં શ્રી ગુરુ સિંઘ સભા ટ્રસ્ટ દ્વારા વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ! ના નારા સાથે બાલ દિવસ ની ઉજવણીની સાથે તારીખ ૨૨ થી ૨૭ સુધી શહીદી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે નિમિત્તે વિશેષ પ્રદર્શની રાખવામાં આવી છે, ઉપરાંત સેલ્ફી પોઇન્ટ અને વિશાળ સ્ક્રીન પર સાહીબજાદાઓ ના બલિદાનની ફિલ્મ નું નિદર્શન સહિતના કર્યક્રમો યોજાઈ રહ્યા છે ઉપરાંત ગુરુદ્વારા નજીક જાહેરમાં સર્વે સનાતની ધર્મપ્રેમી જનતા માટે આગામી તા ૨૬મી અને ૨૭ માંના સાંજે ૭.૦૦ વાગ્યા થી રાત્રીના ૧૦.૦૦ વાગ્યા સુધી દૂધના લંગર પ્રસાદી નું પણ વિતરણ કરવામાં આવશે. જેનો સર્વેએ લાભ લેવા ગુરુદ્વારા શ્રી ગુરુ સિંઘ સભા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.
જામનગરના ગુરુદ્વારામાં શહીદી સપ્તાહની ઉજવણી નો પ્રારંભ થયો છે, જેનો ઇતિહાસ નિહાળવામાં આવે તો તારીખ ૨૨ ડિસેમ્બર થી ૨૭ ડિસેમ્બરના એક સપ્તાહના દિવસો કોઈ સામાન્ય દિવસ નથી. ડિસેમ્બર મહિનો આવે એટલે આપણને ઠંડીનો અહેસાસ થાય છે, પણ શીખ ઈતિહાસ માટે આ મહિનો શહીદી સપ્તાહ છે. આ દિવસો એવા છે જેને યાદ કરીને આજે પણ પંજાબની દીવાલો રડી પડે છે.
કડકડતી ઠંડી, સરહિંદની એ ખુલ્લી અને ઠંડી જેલ, જ્યાં ૮૦ વર્ષના દાદી માતા ગુજર કૌર અને ફૂલ જેવા કોમળ બે બાળકો - બાબા જોરાવર સિંઘજી (૯ વર્ષ) અને બાબા ફતેહ સિંઘજી (૭ વર્ષ) કેદ હતા. મુગલ શાસકોએ તેમને ડરાવ્યા, ધમકાવ્યા, લાલચો આપી કે તમે તમારો ધર્મ છોડી દો, તો તમને નવાબ બનાવી દઈશું.
પણ આ એ વંશના સિંઘ હતા જેમના દાદા શ્રી ગુરુ તેગ બહાદુર સાહેબજી, સનાતન એટલે કે હિન્દુત્વ ના રક્ષણ અને હિન્દુ પંડિતોની રક્ષા માટે દિલ્હી ગયા હતા અને બલિદાન આપ્યું હતું. સાત વર્ષના બાબા ફતેહ સિંઘે ગર્જના કરીને કહ્યું હતું, અમે માથું કપાવી શકીએ છીએ, પણ ધર્મ માટે માથું ઝુકાવી નથી શકતા.
જ્યારે એ માસૂમ બાળકોને જીવતા દીવાલમાં ચણવામાં આવી રહ્યા હતા, ત્યારે ઈંટો જેમ જેમ ઉપર આવતી ગઈ, તેમ તેમ તેમના ચહેરા પરનું તેજ વધતું ગયું. તેમણે પોતાના પ્રાણ આપી દીધા, પણ આ દેશ અને ધર્મની રક્ષા કાજે ઘૂંટણ ન ટેકવ્યા. આ બલિદાન સનાતન (હિન્દુત્વ) અને આપણી સંસ્કૃતિને બચાવવા માટે હતું. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સાચું જ કહ્યું છેકે વીર બાળ દિવસ આપણને યાદ અપાવે છે કે શૌર્યની પરાકાષ્ઠા માટે ઉંમર ક્યારેય બાધક નથી હોતી.
જામનગરમાં પણ આ શહીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુરુદ્વારા જામનગર સાહિબ દ્વારા એક વિશેષ અને પવિત્ર આયોજન થયું છે. જેમાં સર્વે સનાતનીઓ તારીખ ૨૨ થી ૨૭ ડિસેમ્બર સુધી, દરરોજ સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી ગરમ કેસર વાળા દૂધના લંગર પ્રસાદીનું ગુરુદ્વારા પાસે આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરાંત ગુરુદ્વારમાં એક વિશાળ સ્ક્રીન લગાવી છે. જેમાં વીર બાળ દિવસ શું છે? અને સાહિબજાદાઓએ ધર્મ માટે કેવું બલિદાન આપ્યું? તે ચિત્રો અને વિડીયો દ્વારા બતાવવામાં આવી રહ્યું છે. જામનગરના પ્રત્યેક પરિવારજનોએ પોતાના બાળકોને કાર્ટૂન કે મોબાઈલમાંથી થોડો સમય બહાર કાઢીને અહીં લઈ આવી તેમને અસલી હીરો કોણ છે, તે બતાવવું જોઈએ. જો આપણે આપણો ઈતિહાસ આપણા બાળકોને નહીં બતાવીએ, તો કાલે ઉઠીને આપણો વારસો કોણ સાચવશે, તે પણ એક પ્રશ્ન છે.
આવા મહાન આત્માઓને નમન કરીએ કે જેમણે હિન્દુત્વના (સનાતન ધર્મ) ના રક્ષણ માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું છે. બોલે સો નિહાલ... સત શ્રી અકાલ! અને વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ! ના નારા સાથે પ્રત્યેક સનાતનીઓએ ગુરુદ્વારા માં પ્રદર્શની તેમજ શોર્યગાથા ની ફિલ્મ વગેરે નિહાળવા અને લંગર પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે.