જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એક મહિલાએ કોઇ કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જયારે કાલાવડના બાંગા ગામમાં પ્રૌઢાએ બિમારીથી કંટાળી ચેકડેમમાં ઝંપલાવ્યુ હતું.
જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં જૂની પટેલ મીલની બાજુમાં રહેતા કૌશલ્યાબા બચુભા જાડેજા નામના ૪૮ વર્ષના મહિલાએ ગઇકાલે સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ અંગે પરિવારના સભ્યોએ તુરતજ ૧૦૮ની ટીમને જાણ કરી હતી. જેથી ૧૦૮ ની ટુકડી બનાવ ના સ્થળે દોડી આવી હતી. પરંતુ તે પહેલાં કૌશલ્યાબાનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે દેવેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરાતાં સિટી બી. ડિવિઝનના મહિલા પીએસઆઇ કે. એન. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં કાલાવડના બાંગા ગામમાં રહેતી કડવીબેન લાખાભાઇ વાઘેલા (ઉ.વ.૭૫) નામના વૃઘ્ધા કેન્સરની બિમારીથી દસેક વર્ષથી પીડાતા હોય દરમ્યાન આ બિમારીથી કંટાળી જઇ ગઇકાલે ઘર નજીક નદીના ચેકડેમમાં પાણીમાં ડુબી આપઘાત કરી લીધો હતો, આ અંગે રામજી લાખભાઇ વાઘેલા દ્વારા ગ્રામ્ય પોલીસમાં જાહેર કરાયુ હતું.