BREAKING NEWS

જામનગર : ગાંધીનગર વિસ્તારમાં આવેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ કરાવવા માટે સ્થાનિક રહેવાસીઓની અગત્યની મીટીંગ

  • January 24, 2026 01:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં અને ખાસ કરીને ગાંધીનગર સહિતના આસપાસના વિસ્તારમાં પર્યાવરણ અને માનવ આરોગ્ય સામે ગંભીર ખતરા ‚પ એબલોન કંપનીનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ તાત્કાલિક બંધ કરાવવા માટે આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા તમામ નાગરિકો માટેની અગત્યની મિટિંગ તા. ૨૬ જાન્યુઆરીના રોજ સાંજે ૪.૦૦ થી ૫.૦૦ દરમિયાન મચ્છર નગર વિસ્તારમાં આવેલા આશાપુરા મંદિરે યોજવામાં આવી છે જેમા આગામી દિવસો માટે ભાવી કાર્યક્રમમો અંગે ચર્ચા વિચારણા થશે.


જામનગર શહેરના ગાંધીનગર, પુનિતનગર, રામેશ્વર તથા આસપાસના વિસ્તારોમાં એબલોન કંપની દ્વારા ચલાવવામાં આવી રહેલ વેસ્ટ ટુ એનર્જી પાવર પ્લાન્ટ હાલમાં સ્થાનિક નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ તથા દરિયાઈ જીવસૃષ્ટિ માટે ગંભીર ખતરો બની ગયો છે. આ પ્લાન્ટ માટે સમગ્ર જામનગર જિલ્લાનો કચરો અહીં ઠાલવવામાં આવે છે, જેના કારણે પ્લાન્ટની આસપાસ બે થી ત્રણ કિલોમીટર સુધી અસહ્ય દુર્ગંધ ફેલાયેલી રહે છે. પરિણામે આસપાસના વિસ્તારોમાં રહેતા અસંખ્ય નાગરિકોને ઉલ્ટી, આંખોમાં બળતરા, માથાનો દુખાવો જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓમાં રોગચાળો ફેલાતો હોવાની ભીતિ ઊભી થઈ છે. ચિંતાજનક બાબત એ છે કે આ પ્લાન્ટ દરિયાની અતિ નજીક આવેલ હોવાથી દરિયાઈ જીવોના અસ્તિત્વ માટે પણ મોટું જોખમ સર્જાઈ રહ્યું છે. 


આ ઉપરાંત, પ્લાન્ટની નજીક વિશ્વવિખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણ આવેલ છે, જેને થોડા સમય પહેલાં જ રામસર સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે. શિયાળાની ઋતુમાં અહીં અનેક વિદેશી પક્ષીઓ આવે છે તેમજ દુનિયામાં અત્યંત દુર્લભ એવા કાળી ડોક ઢાંક પક્ષી અહીં માળા બાંધી ઈંડા મૂકે છે. આ અમૂલ્ય પક્ષીપ્રજાતિ અને સમગ્ર જૈવ વૈવિધ્ય માટે આ પ્લાન્ટ ગંભીર ખતરો સાબિત થઈ રહ્યો છે. આ સમગ્ર મુદ્દે નવાનગર નેચર કલબ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી, જે અત્યંત દુર્ભાગ્યજનક અને ચિંતાજનક બાબત છે.
​​​​​​​

આથી, જામનગરના પર્યાવરણ પ્રેમીઓ તથા આ કંપનીના આસપાસના વિસ્તારોના રહેવાસીઓ માટે તા. ૨૬ જાન્યુઆરીના સાંજે આશાપુરા મંદિર, મચ્છર નગરમાં બેઠક યોજાઈ છે આ બેઠકમાં એબલોન કંપની વિરુદ્ધની આગામી રણનીતિ તથા કાનૂની અને લોકઆંદોલનની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. નવાનગર નેચર કલબ તમામ જાગૃત નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ, સામાજિક સંસ્થાઓને અપીલ કરે છે કે તેઓ મોટી સંખ્યામાં હાજરી આપી પર્યાવરણ અને માનવ આરોગ્ય બચાવવાના આ સંઘર્ષમાં જોડાય તેવો સંસ્થાના પ્રમુખ દ્વારા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે (૯૯૨૫૫ ૬૦૧૯૯)નો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application