BREAKING NEWS

જામનગર : જામ્યુકો દ્વારા ત્રણ દિવસમાં ૯૦ પથારા રેકડી હટાવાઇ

  • December 23, 2025 11:52 AM 


જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં શનિવાર તેમજ રવિવારે રજા ના દિવસે પણ માર્ગો પરથી અડચણરૂપ દબાણોને દૂર કરવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી. જેમાં શરૂ સેકશન, વી માર્ટ, પટેલ કોલોની, પંચવટી સર્કલ, લાલ બંગલા સર્કલ સહિતના વિસ્તારોને એસ્ટેટ શાખાએ આવરી લેતાં ૪૦ થી વધુ રેકડીઓ, કાઉન્ટરો, પથારાઓ વગેરે દૂર કરવામાં આવ્યા હતાં અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. મનપા દ્વારા આગામી દિવસોમાં પણ ઝુબેશ યથાવત રાખવામાં આવશે.


જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં માર્ગોને અડચણરૂપ દબાણોને દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે ઝુંબેશ શનિવારે અને ગઈકાલે રવિવારે રજાના દિવસે પણ યથાવત રાખવામાં આવી હતી, જેમાં એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ, શરૂ સેકશન રોડ, વી માર્ટ રોડ, પટેલ કોલોની રોડ, પંચવટી રોડ સહિતના વિસ્તારોમાં જુદા-જુદા સ્થળે ખડકાયેલા કાઉન્ટરો, રેકડીઓ, પથારાઓ વગેરેને દુર કરવામાં આવ્યા હતાં.


આ ઝુબેશ અંતર્ગત માર્ગો પર અડચણ રૂપ ૯૦ જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતાં, જેમાં રેકડી, પથારા ૧૦ થી વધુ વજન કાંટા, લોખંડની ગ્રીલ, કપડા ડિસ્પ્લે માટેના પૂતળા વગેરેનો સમાવેશ થાય છે, શહેરના માર્ગો પર સુચારૂ રીતે આવાગમન થઈ શકે માટે જુદા-જુદા વિસ્તારોમાં જામનગર મહાનગરપાલિકાના મુખ્ય કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવા તેમજ એસ્ટેટ શાખાના અનવરભાઈ ગજણ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ રહી છે, જે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે એમ સુત્રોએ જણાવ્યુ હતું. 


ગુજરી બજાર માટે મહાપાલીકા દ્વારા નદીનો પટ્ટ ફાળવવામાં આવ્યો છે, પરંતુ તેનો અમલ થતો નથી, સોમવારે પ્રદર્શન મેદાન, મંગળવારે સાધનાકોલોની, બુધવારે નવાગામ ઘેડ, ગુરૂવારે ગુલાબનગર, શુક્રવારે પ્રદર્શન મેદાન, શનિવારે બેડેશ્ર્વર ઓવરબ્રિજ પાસે અને રવિવારે રંગમતી નદીના પટ્ટમાં ગુજરી બજાર ભરાય છે, ગઇકાલે પ્રદર્શન મેદાન પાસેથી ફેરીયાઓને હટાવાયા બાદ એસ્ટેટ શાખાના સ્ટાફ અને ગુજરી બજારના ધંધાર્થીઓ વચ્ચે થોડી રકઝક પણ થઇ હતી, એવો પણ ચોંકાવનારો આક્ષેપ થયો હતો કે, પ્રદર્શન મેદાનમાં ધંધાર્થીઓ જગ્યા રોકીને માલ વેંચવાવાળા પાસેથી એક મહીલા રૂ.૬૦૦ ઉઘરાવતી હોવાનો પણ આક્ષેપ થયો છે, આ અંગે પણ તપાસ કરવી જોઇએ તેમ લોકોનું કહેવું છે. ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે ધંધો કરવા એસ્ટેટ શાખા દ્વારા જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application