જામનગર મહાપાલીકાની એસ્ટેટ શાખાની કામગીરી અવિરતપણે ચાલું છે, એસ્ટેટ અધિકારી નિતીન દિક્ષીતને એસ્ટેટ શાખામાંથી દુર કરાયા બાદ મુકેશ ગોસાઇને ચાર્જ સોંપાયો છે અને ગઇકાલે ફરીથી ગેરકાયદેસર લગાવેલા ૭૦૦ જેટલા કી-ઓકસ અને હોર્ડીગ્સ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે.
જામનગરમાં મુખ્ય માર્ગો ઉપરથી એસ્ટેટ શાખાની વિવિધ ટીમોએ ઓપરેશન સ્વચ્છતા શરૂ કર્યુ હતું અને અલગ-અલગ ટીમનો કાફલો જયાં-જયાં ગેરકાયદેસર મંજુર લીધા વિનાના બોર્ડ છે તે બધા ઉતારી લીધા હતાં, સતત ૫ દિવસથી આ કામગીરી ચાલું રહી હતી અને ૨૭૦૦ જેટલા હોડીગ્સ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે, નાયબ કમિશ્નર મુકેશ વરણવાના માર્ગદર્શન હેઠળ અનવર ગજણ અને તેની ટીમના સભ્યોએ આ કામગીરી કરી હતી.
દિવાળીના દિવસોમાં શહેરમાં અનેક સ્થળોએ વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યા છે, કેટલાક લોકોએ મંજુર વિના પોતાની દુકાન પાસે મંડપ પણ બાંઘ્યા છે, દિવાળીના તહેવારોમાં એક તરફ ટ્રાફિક જામની સ્થિતિ વધુ જોવા મળે છે અને બીજી તરફ દુકાનદારો દ્વારા કરાતા દબાણને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, મ્યુ.કમિશ્નરે એસ્ટેટ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપી છે કે, કોઇપણ ભોગે લોકો પરેશાન ન થાય તેનું ઘ્યાન રાખવાનું અને તમામ મુખ્ય રસ્તાઓ તો ખુલ્લા રહેવા જોઇએ જેને કારણે સતત ૫ દિવસથી આ કામગીરી કરવામાં આવી રહી છે.