જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડેની આવતીકાલે તા. ૧૯મીએ સવારે ૧૧:૩૦ વાગ્યે મહાપાલીકાના બિલ્ડીંગમાં મળનારી બેઠક તોફાની બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. વિપક્ષ દ્વારા રસ્તા રીપેરીંગ, ડોર-ટુ-ડોર કચરો લેવાના તા.૧ ડિસેમ્બરથી શરુ થયેલા નવા કામ, પીએમ-જેએવાય કાંડ મુદ્દે મ્યુ. તંત્રના આરોગ્ય વિભાગએ લીધેલા પગલાઓ સહિતના મુદ્દે પસ્તાળ પડશે અને આજે વિપક્ષો દ્વારા સંકલન બેઠક બોલાવવામાં આવી છે, જો કે વિપક્ષમાં આઠ કોંગ્રેસના ત્રણ બસપાના અને ત્રણમાંથી કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા હોવાથી વિપક્ષ પણ ત્રણ ભાગમાં વેંચાયો છે.
આવતીકાલની જનરલ બોર્ડની બેઠકમાં એમ્યુઝમેન્ટ પાર્કથી મેહુલનગરથી ખોડીયાર કોલોની રોડ તરફ જતા રોડ ઉપર મ્યુ. કોર્પોરેશનની ટીપી સ્કીમ નંબર-રના ફાઈનલ પ્લોટ નંબર ૯૭/પૈકીની જગ્યામાં આવેલો ૨૧૨૧ ચોરસ મીટરનો પ્લોટ એક ભાગીદારી પેઢીને વેંચવા, મેહુલનગર રોડ ઉપરની સોસાયટીઓમાં ટીપી સ્કીમ નંબર-રમાં બીજી વખત ફેરફાર કરીને સરકારને મોકલવા તેમજ વોટર વર્કસ વિભાગમાં ૨૦ને બદલે ૨૫ ઈન્સ્પેક્ટરોની ભરતી યોજવા ઠરાવો થશે.
તે ઉપરાંત પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષી સભ્યો દ્વારા પીએમ જેએવાય કાર્ડમાં થયેલા અર્પોરેશનો અંગે રાજ્ય સરકાર દ્વારા દંડાયેલી હોસ્પિટલો સામે મ્યુ આરોગ્ય તંત્રએ કોઈ પગલા લીધા છે કે કેમ ? તે અંગે તેમજ આંગણવાડીને લગતી બાબતો તથા શહેરના માર્ગોના ખોદકામ અને પછી તેને પુરવા માટે મરાતા થીગડાઓની પોલીસી તેમજ પશ્નો મુદ્દે તડાફડીભરી રજૂઆતો થવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મ્યુ. કોર્પો.ની ગત ચુંટણીમાં ભાજપાના ૫૦ સભ્યો અને કોંગ્રેસના ૧૧ તથા બસપાના ૩ સભ્યો ચુંટાયા હતા. હવે વિપક્ષના કોંગ્રેસ જૂથમાંથી ૩ સભ્યો છુટા પડીને આપમાં જતાં વિપક્ષમાં કોંગ્રેસનું સભ્ય સંખ્યાબળ ૮નું થયું છે.