જામનગરમાં નવરાત્રીમાં સંચાલક સામે ઠગાઇ કર્યાની વધુ એક ફરીયાદ
પોરબંદરના મંડપ સર્વિસવાળાને ભાડાના છ લાખ નહીં આપી વિશ્ર્વાસઘાત: ચેનલમાં બદનામ કરવા ધમકી દીધી
જામનગરના એક નવરાત્રીના સંચાલક સામે તાજેતરમાં જ બે જુદી જુદી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી દરમ્યાનમાં વધુ એક મામલો પોલીસ મથકે પહોચ્યો છે, જેમાં પોરબંદરના મંડપ સર્વિસવાળાનો માલ સામાન નવરાત્રીમાં ભાડે રાખી ૬ લાખની રકમ નહીં આપી ઉપરાંત ચેનલમાં બદનામ કરવા માટેની ધમકી દીધી હતી.
પોરબંદરના નવી ખડપીઠ પાછળ રબારી કેડા ખાતે રહેતા મંડપ સર્વિસના ધંધાર્થી ડાયાભાઇ સાજણભાઇ મારૂ દ્વારા ગઇકાલે પંચકોશી-બીમાં સંજય ચેતરીયાની સામે વિશ્ર્વાસઘાત અને ધમકી દીધાની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ ફરીયાદી ડાયાભાઇ શ્રી બાલવી મંડપ સર્વિસનો માલ સામાન આરોપી સંજયને ૨૦૨૩ની સાલમાં નવરાત્રી તહેવારમાં ભાડે આપ્યો હતો જે ભાડાના રૂ. ૬ લાખ અવાર નવાર માંગણી કરવા છતા નહીં આપી ફરીયાદી સાથે ગુનાહીત વિશ્ર્વાસઘાત કર્યો હતો. ત્યાર બાદ ફરીયાદીને ચેનલમાં બદનામ કરવા ધમકી આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી દઇ અપશબ્દો બોલી મૃત્યુના ભયમાં મુકી બળજબરીપુર્વક રૂ. ૨૫ હજાર કઢાવી લીધા હતા. વર્ષ ૨૦૨૩ થી અવાર નવાર આશીર્વાદ કલબ તથા જામનગર ખંભાળીયા હાઇવે આરટીવી પાર્ટી પ્લોટ બહાર આ બનાવ બન્યાનું ફરીયાદમાં જણાવવામાં આવ્યુ છે. પંચ-બીના પીઆઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ.બી. જાડેજા તપાસ ચલાવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવરાત્રીના આયોજક સામે તાજેતરમાં બે જુદી જુદી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી હતી અને વધુ એક મામલો પોલીસ મથકે પહોચતા ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application