જામનગર : આજકાલના અહેવાલ બાદ જામ્યુકોની આંખના પાટા ખૂલ્યા
જામનગર : આજકાલના અહેવાલ બાદ જામ્યુકોની આંખના પાટા ખૂલ્યા
January 01, 2026 05:39 PM
જામનગરમાં વિકાસ કાર્યોને મૂર્તિમંત કરવાને બદલેે વાહવાહી મેળવવા મસમોટા દાવા કરવામાં મહાનગરપાલીકા ખૂબજ પાવરધી છે. જેના કિસ્સા છાશવારે શહેરમાં જોવા મળી રહ્યા છે. મનપાના આ દાવા અને સમસ્યા પ્રત્યે ગાંધારીની ભૂમિકાથી શહેરીજનોને નાકે દમ આવી ગયો છે.
શહેરના ટ્રાફીકથી ધમધમતા ઓશળાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગ અણધડ અને મનસ્વી રીતે મૂકાયેલા ૧૦ ગેપથી રોજ ચકકાજામથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ કપરી સ્થિતિમાં ખોડીયાર માતાજીના મંદીર પાસે માર્ગની એક બાજુ કામગીરી અર્થે મનપા દ્રારા મસમોટો ખાડો કરવામાં આવ્યો છે. પરંતુ કોઇ કારણોસર આ કામ પુરૂ ન થતાં સતત ટ્રાફીકથી વ્યસ્ત માર્ગ પરનો આ ખાડો જીવલેણ અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે.
ત્યારે આ અંગે તસ્વીર સાથેનો અહેવાલ આજકાલ દ્રારા ૩૦ ડીસેમ્બરના પ્રસિઘ્ધ કરાયો હતો. આ અહેવાલ બાદ જામ્યુકોના જવાબદારોની આંખના પાટા ખૂલ્યા છે. કારણ કે, ખોડીયાર કોલોની પાસે કામ અર્થે કરવામાં આવેલા આ જીવલેણ ખાડા આગળ આડશ મૂકવામાં આવી છે અને ખાડાનો અમુક ભાગ બુરવામાં પણ આવ્યો છે. જો કે, આ ખૂબજ જોખમી ખાડો કોઇ જીવલેણ અકસ્માત થાય તે પહેલા બુરાશે કે કેમ તે સળગતો સવાલ છે.