જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના કાનપર ગામની સીમમાં ખેતરમાં રમી રહેલી સગીરાને ઉપાડી જઈ બદકામના ઇરાદે બાજુના ખેતરમાં લઈ જઈ બદકામના ઇરાદે ગુપ્ત ભાગમાં સળીયો ભરાવીને ગંભીર ઇજા પહોંચાડવાના હેવાનિયત ભયર્યા ગુનામાં સ્પેશિયલ કોર્ટે ફાસ્ટ ટ્રેક કેસ ચલાવી ચાર્જશીટના માત્ર 33 દિવસમાં જ સુનાવણી પુરી કરી સ્પેશિયલ કોર્ટ જ્જ વી. એ. રાણાએ દોષિત ઠેરવેલા ગુનેગાર રામસીંગ તારસીંગ ડુડવા (ઉ.વ. 30)ને મૃત્યુ દંડ એટલે કે ફાંસીની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ અતિ ચકચારી કેસની હકીકત મુજબ જસદણ તાલુકાના કાનપર ગામે વાડીમાં દાહોદ પંથકનો શ્રમિક પરિવાર ખેતર ભાગીયે રાખી ખેત મજૂરી કરતો હોઇ, ગત તા.04-12- 2025ના રોજ શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે વાડીમાં જ રમી રહેલી પરિવારની છ વર્ષ આઠ માસની બાળકીનું હવસખોર શખસે અપહરણ કરી જઇ હેવાનિયતથી અમાનુષી અને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદમાં હવસખોર ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાવી દઇ બાળકી લોહીલુહાણ કરી નાસી ગયો હોવાનું જણાવ્યું હતું.
રામસિંગ તારસીંગ ડુડરની કાનપરની સીમમાંથી ધરપકડ કરી
પરિવારજનોની શોધખોળ દરમિયાન બાળકી નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવતા બાળકીને સારવાર અર્થે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ આટકોટ પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જેની તપાસમાં બાળકીની માહિતીના આધારે અમાનુષી અત્યાચાર ગુજારનાર શખ્સ મૂળ મધ્યપ્રદેશના રામસિંગ તારસીંગ ડુડરની કાનપરની સીમમાંથી ધરપકડ કરી હતી.
11 દિવસના ટૂંકા સમયગાળામાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી
પોલીસની પૂછપરછમાં નરાધમે કબૂલાત આપી હતી કે, પોતે પીડિત બાળકીનો પરિવાર જે વાડીમાં મજૂરી કરે છે તેની બાજુની વાડીમાં જ પોતે પણ મજૂરી કરે છે. અહીંથી નીકળતા માસુમ બાળકી ખેતરમાં જ રમી રહી હતી. જેથી નરાધમની દાનત બગડી હતી. બાળકીને ઉઠાવી નજીકમાં જ પાણીની ટાંકી પાસે લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજારવાની કોશિશ કરી હતી. તેમાં નિષ્ફળ જતાં ઉશ્કેરાયેલા શખ્સે બાજુમાં જ પડેલ લોખંડનો એક ફૂટનો સળીયો બાળકીના ગુપ્તાંગમાં ઘુસાવી લોહીલુહાણ કરી ત્યાં જ બાળકીને મૂકી નાસી ગયો હતો. બાદ તપાસનીશ આટકોટ પોલીસ અને એલસીબી દ્વારા ખૂબ ઝડપી પુરાવાઓ એકત્ર કરી 11 દિવસના ટૂંકા સમયગાળામાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
33 દિવસમાં જ સુનાવણી પુરી
બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને કોર્ટે કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કરી 6 દિવસમાં પુરાવો નોંધવાનુ કાર્ય પૂર્ણ કરી 33 દિવસમાં જ સુનાવણી પુરી કર્યા પછી આરોપી સામેનો કેસ સાબિત માનીને તા. 12મીએ નરાધમ રામસિંગ તારસિંગ ડુડવાને દોષિત જાહેર કરી સજા અંગે સુનાવણી તા. 15 ડિસેમ્બરે રાખી હતી. જેમાં જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંતભાઈ પટેલે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ હોય ગુનેગારને ફાંસીની સજા ફટકારવા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ અને દાખલા સાથે ભારપૂર્વકની રજૂઆતો અને દલીલો કરી હતી, ત્યારબાદ આજે ઉઘડતી અદાલતે સ્પેશિયલ પોસ્કો કોર્ટ જજ વી.એ. રાણાએ નરાધમ રામસિંગ તારસિંગ ડુડવાને મૃત્યુદંડ એટલે કે કાશીની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંતભાઈ પટેલ રોકાયા હતા.
માત્ર ગણતરીના દિવસોમાં ચુકાદો આપી દેવામાં સફળતા મેળવી
બંને સરકારી વકીલોએ દલીલ કરતાં કોર્ટને જણાવેલ કે આરોપીનું કૃત્ય ખુબ જ ધૃણાસ્પદ અને અતિ નિંદનીય છે, આરોપી આ પ્રકારની વિકૃતિ ધરાવતો હોય તેવું કૃત્ય તપાસ દરમિયાન ખૂલ્યું છે. પોલીસ ઉપર પણ હુમલાનો પ્રયાસ કર્યો છે. છ વર્ષ અને આઠ માસની માસુમ બાળા ઉપર પ્રથમ બદકામની કોશિશ કરી છે, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા સગીરાના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો ભરાવી વિકૃત આનંદ મેળવી ભાગી છુટ્યો હતો. આવા ગંભીર ગુનાને હળવાશથી ન લઈને આ કેસને એક અપવાદરૂપ ઘટના છે સમાજમાં કુમળી બાળા ઉપરના આ પ્રકારના દુષ્કર્મ અને વિકૃતિના બનાવો વધતા જાય છે આથી બનાવોને અંકુશમાં લેવા માટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને આરોપીને દાખલા રૂપ આકરામાં આકરી સજા કરવી જરૂરી છે. હાલના કેસનો પુરાવો જોતા આરોપી વિરુદ્ધ પ્રથમ દર્શનીય જ્યારે કોર્ટે કેસને સાબિત માનેલ છે ત્યારે આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણવા અને કેસના આરોપીને ફાંસીની સજા કરવી જોઈએ તેવી દલીલો અને રજૂ કરેલા ઉચ્ચ કોર્ટના ચુકાદાઓ ધ્યાને રાજકોટ પોક્સો કોર્ટના જજ વી. એ. રાણાએ આરોપી રામસિંગ તેરસિંગ ડુડવાને આ અતિ ધૃણાસ્પદ ગુનામાં દોષિત ઠરાવીને આજે ઉઘડતી અદાલતે ફાંસીની સજા ફટકારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં આટકોટ પોલીસે ઝડપી તપાસ પૂરી કરીને બનાવના 11મા દિવસે તપાસ પૂરી કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપી બંને સરકારી વકીલની દલીલો સ્વીકારીને માત્ર 33 દિવસમાં સમગ્ર કેસની ટ્રાયલ પૂરી કરી હતી. માત્ર ગણતરીના દિવસોમાં ચુકાદો આપી દેવામાં સફળતા મેળવી છે.
નિર્ભયાને 7 લાખ વળતર
જસદણના કાનપર પંથકમાં પોણા સાત વર્ષની નિર્ભયા ઉપર ક્રૂર હેવાનિયત આચારી દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટ જજ વી એ રાણાએ નરાધમને ફાંસીની સજા ફટકારવા સાથે સરકારને વીક્ટિમ કોમ્પ્ન્સેશન એક્ટ હેઠળ રૂપિયા 7 લાખનું વળતર નિર્ભયાને ચૂકવવાની ભલામણ કરી છે.