જેતપુર તાલુકાના જુની સાંકળી ગામની સીમમાં ખેતરમાંથી થયેલી જણસીની ચોરીનો ભેદ જેતપુર તાલુકા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે મોટી મારડમાં રહેતી બેલડીને ઝડપી લીધી હતી. આ બેલડી દિવસે સીમ વિસ્તારમાં રેકી કરી રાત્રીના જણસી પીકઅપ વાહનમાં ભરી ચોરી કરી જતા હતાં. જેની પુછતાછમાં બે ચોરીના ભેદ ઉકેલાયા છે. પોલીસે પીકઅપવાહન અને રોકડ સહિત રૂ. ૩.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જુની સાંકળી ગામે સીમ વિસ્તારમા ખેતરમાંથી રાત્રીના કોઇ શખસો કપાસની ભારીઓ નંગ ૨૨ ચોરી કરી ગયાાની ફરીયાદ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જેને લઇ રાજકોટ રેન્જ આઇજી અશોકુમાર યાદવ તથા રાજકોટ એસ.પી વિજયસિંહ ગુર્જરએ ગુન્હાના આરોપી તથા મુદ્દામાલ તાત્કાલીક શોધી કાઢવા સુચના આપવામાં આવી હોય જેના અનુસંધાને જેતપુર ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ એ.એમ.હેરમાની રાહબરીમાં પીએસઆઇ બી.ડી.ઝાલા તથા ટીમ બનાવવાળી જગ્યાના આસપાસના તથા ગ્રામ્ય વિસ્તારના સીસીટીવી ફુટેજ તપાસવામાં આવ્યા હતાં. બાદમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી રહ્યા હતાં.
દરમિયાન એ.એસ.આઇ. વિપુલભાઇ મારૂ તથા હેડ કોન્સ. અજીતભાઇ ગંભીર, કોન્સ. પ્રદ્યુમનસિંહ વાઘેલાને બાતમી મળી હતી કે, ચોરીમાં ઉપયોગ થયેલ વાહન તથા તેના બન્ને આરોપીઓ મોટાગુંદાળા કેનાલે જતા રોડ ઉપર કોઇ ખેતરમા ફરીથી ચોરી કરવાની ફિરાકમાં હોય જેથી હકિકત આધારે પોલીસની ટીમે અહીં પહોંચી બંને આરોપી સાગર ચંદુભાઇ બારૈયા (ઉ.વ.૨૪) અને અર્જુનસિંહ દિલીપસિંહ ગોહિલ (ઉ.વ.૩૪ બન્ને રહે. મોટીમારડ તા.ધોરાજી) ને ઝડપી લઇ તેની પાસેથી પીકઅપ વાહન નં. જીજે -03-બીવી -9098 કિં.રૂ. ૩ લાખ,રોકડ રૂા. ૬૪,૦૦, મોબાઇલ ફોન ૨ કિં.રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૩,૭૪,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમા દિવસ દરમ્યાન રેકી કરી ખેતરોમાં ખુલ્લામાં રાખેલ જણસોની રાત્રીના સમયે પીકઅપ વાહનમાં આવી જણસીની ચોરી કરી યાર્ડ તથા જીનીંગમાં વેંચાણ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ બેલડીની પુછતાછ કરતા જેતપુરના જૂની સાંકળી ગામે થયેલી ચોરી ઉપરાંત ધોરાજી પંથકમાં થયેલી જણસની ચોરી જે અંગે પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી તે બંને ચોરીનો ભેદ ઉકેલાયો છે.
ચોરીનો ભેદ ઉકેલવાની આ કામગીરીમાં જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ એ.એમ.હેરમાની રાહબરીમાં પીએસઆઇ બી.ડી.ઝાલા, એએસઆઇ ભુરાભાઇ માલીવાડ, વિપુલભાઇ મારૂ, અજીતભાઇ મારૂ, અજીતભાઇ ગંભીર, મનેશભાઇ જોગરાદિયા, મનસુખભાઇ રંગપરા અને પ્રદ્યમુનસિંહ વાઘેલા સાથે રહ્યા હતાં.