જેતપુર શહેર સહિત સમગ્ર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગત રાતથી શરૂ થયેલો આફતરૂપી વરસાદ આજ સાંજ સુધી સતત ચાલુ રહેતાં શહેરમાં સાત ૬.૫ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. રાત્રે ધોધમાર વરસાદ વરસ્યા બાદ દિવસ દરમિયાન પણ ધીમી ધારે વરસાદ ચાલુ જ રહેતાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે.
જેતપુર શહેર ઉપરાંત તાલુકાના ગ્રામીણ વિસ્તારો જેવા કે ખીરસરા, ખજુરી ગુંદાળા, સ્ટેશન વાવડી, દેવકીગાલોર, અમનગર, વાડસડા, હરિપર અને વાળાડુંગરા સહિતના તમામ ગામોમાં પણ મેઘરાજાએ સાંબેલાધારે બેટિંગ કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન બન્યા છે.
શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાં પણ ઘોડાપુર આવતા લોકો નદીનું પાણી જોવા ઉમટી પડ્યા હતાં. શહેરની નદીના ઉપરવાસમાં કે જ્યાંથી નદી પસાર થતી આવે છે તે વાડાસડા ગામે તેમજ દેરડીની ધાબી પર પાણી ફરી વળ્યું હતું. જ્યારે જેતપુર બગસરા રોડ પર દેવકી ગાલોર ગામે ગાલોરીયા નદીમાં આવેલ ડાયવર્જન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાય ગયો હતો, આજ રોડ પર ખારચિયા ગામ પાસે એક વિશાળ વૃક્ષ ધરાશયી થઈ રસ્તા વચ્ચે પડતાં ત્યાં પણ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જ્યારે અમરનગરથી દેવળકી ગામ વચ્ચે આવેલ બેઠી ધાબી પણ નદીમાં પુરને કારણે તૂટી ગઈ હતી.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-૧ ડેમમાં પાણીની 3 ફૂટ જેટલી આવક થઈ છે, ડેમની સપાટી કુલ 34 ફૂટમાંથી 18 ફૂટે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ભાદર-૧ ડેમ એ જેતપુર, રાજકોટ, વીરપુર અને યાત્રાધામ ખોડલધામ અમરનગર જૂથ યોજના હેઠળ આવતા વિસ્તારોના ૨૦ લાખથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત આ પંથકની ખેતી માટે પણ આ ડેમ સિંચાઈનો મુખ્ય સ્ત્રોત છે. ડેમમાં નવા પાણીની આવક થતાં આવનારા દિવસોમાં પીવાના પાણીનું સંકટ થોડું હળવું થયું હતું. પરંતુ ડેમ પૂર્ણ પણે ભરાય તો ખેડૂતોને શિયાળુ પિયત માટે પાણી આપી શકાય જેથી ખેડૂતો હાલ તો જે વરસાદ પડ્યો તેનાથી જ વાવેલ પાકને નવજીવન મળતા હરખમાં આવી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application