રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલિશનને વિરોધમાં કોંગ્રેસ મેદાને ઉતરી છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાદમાં કોઠારિયામાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આ લડત તમે તમારા બાવડાના જોરે જ જીતી શકશો. તમે ગાંઠ વાળી દો કે દુનિયા ઉંધી થઈ જાય પણ અમારૂ ઝુપડું કે મકાન પડવા દેવાનું નથી. તાકાત નથી ભુપેન્દ્ર પટેલ સરકારની કે તમારા ઘરની પાસે બૂલડોઝર લઈને આવે. બૂલડોઝર આવે ત્યારે ચાર ગણી સંખ્યામાં બહેનો બહાર આવજો.
ગરીબ માણસો ન હોય તો ધારાસભ્યો અને મુખ્યમંત્રીનો પગાર થાય નહીં
મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કલેક્ટર અને મનપાના કમિશનરો તમે યાદ કરો કે તમારા ઘરમાં કચરા-પોતા કરવા જંગલેશ્વરની જ બહેનો આવે છે. ગરીબ માણસો ન હોય તો ધારાસભ્યો અને મુખ્યમંત્રીનો પગાર થાય નહીં. તમે રજાકોટ અને ગુજરાતના માલિકો છો આ 15 ટકા લૂંટનારાઓ નહીં. અમે કોંગ્રેસ પરિવાર તરીકે તમારી સાથે છીએ. તમારે રોડ ચક્કાજામ કરો તો પોલીસના ડંડા ખાવાની અમારી તૈયારી છે. તમારી શક્તિને તમે ઓળખો, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવું હશે તો મદદ કરીશું. ધરતી અપને આપ કી નહીં કિસી કી બાપ કી..આ કોઈ ભાજપવાળાના બાપની ધરતી નથી. અમને વૈકલ્પિક જગ્યા નહીં આપો તો અમારી છાતી બૂલડોઝર માટે તૈયાર છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ...ભારત દેશ કે ચાર સિપાહીના સુત્રોચ્ચાર કર્યા હતા.