પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ૨૦૨૬ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. પ્રથમ તબક્કાના ભારે મતદાન બાદ હવે બીજા તબક્કા માટે રાજકીય ગરમાવો વધ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સમર્થનમાં પ્રચાર કરવા બંગાળ જશે. કેજરીવાલ ૨૬ અને ૨૭ એપ્રિલના રોજ મમતા બેનર્જી માટે જનતાના આશીર્વાદ માંગશે.
મમતા બેનર્જીના આમંત્રણ પર પ્રવાસ
'આપ' ના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે અરવિંદ કેજરીવાલને પ્રચાર માટે આમંત્રણ આપ્યું હતું. કેજરીવાલે આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને તેઓ બીજા તબક્કાના મતદાન પહેલા ટીએમસીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. કેજરીવાલે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે તેમણે મમતા દીદી સાથે ફોન પર વાત કરી છે અને તેમને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. કેજરીવાલના મતે મમતા બેનર્જી અત્યારે ભારતીય લોકશાહી બચાવવા માટેની સૌથી મોટી અને કઠિન લડાઈ લડી રહ્યા છે, જેમાં તેઓ ખભેખભો મિલાવીને ઉભા છે.
જનસભાઓ અને રોડ-શોનું આયોજન
અરવિંદ કેજરીવાલનો બે દિવસનો પ્રવાસ અત્યંત વ્યસ્ત રહેવાની સંભાવના છે. ૨૯ એપ્રિલે યોજાનારા બીજા તબક્કાના મતદાન માટે કેજરીવાલ વિવિધ હાઈ-પ્રોફાઈલ બેઠકો પર જનસભાઓ ગજવશે. તેઓ મમતા બેનર્જી સાથે મળીને કેટલાક વિસ્તારોમાં જનસંપર્ક કાર્યક્રમો અને રોડ-શોમાં પણ ભાગ લઈ શકે છે.
કેજરીવાલની એન્ટ્રીની શું અસર થશે?
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે કેજરીવાલની હાજરીથી ટીએમસીને ખાસ કરીને શહેરી મતદારો અને યુવાઓ વચ્ચે ફાયદો થઈ શકે છે. ભાજપ જે રીતે બંગાળમાં આક્રમક પ્રચાર કરી રહ્યું છે, તેની સામે કેજરીવાલ જેવો ધારદાર વક્તા મમતા બેનર્જી માટે મજબૂત પક્ષ રજૂ કરી શકે છે. 'આપ' અને 'ટીએમસી' ની આ જુગલબંધી રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી એકતાનો મોટો સંકેત માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application