આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે છે. આવતીકાલે તેઓ રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ ખેડૂતો અને AAP નેતાઓને મળવા જશે. આ માટે પાર્ટી તરફથી જેલ પ્રશાસન પાસે સત્તાવાર રીતે મુલાકાતની મંજૂરી માંગવામાં આવી છે.
આ મુલાકાતને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે
AAPના નેતા મનોજ સોરઠિયાએ માહિતી આપતા જણાવ્યું કે આવતીકાલે બપોરે કેજરીવાલ ખાસ કરીને ખેડૂત નેતાઓ તેમજ AAP આગેવાનો રાજુ કરપડા અને પ્રવિણ રામને મળવા જેલ ખાતે પહોંચશે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ખેડૂતોની ધરપકડ અને કેસોને લઈ આ મુલાકાતને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પાર્ટી તમામ સ્તરે લડત ચલાવશે
મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલે બાહેધરી આપી છે કે જેલમાં બંધ તમામ ખેડૂતો અને આગેવાનોની મુક્તિ માટે પૂરી તાકાતથી પ્રયાસ કરવામાં આવશે. તેમના પરનાં તમામ કેસો પાછા લેવા માટે પણ પાર્ટી તમામ સ્તરે લડત ચલાવશે.
છેલ્લા શ્વાસ સુધી લડત આપશે
AAP નેતાઓએ ભારપૂર્વક કહ્યું કે ખેડૂતોના હકો માટે પાર્ટી છેલ્લા શ્વાસ સુધી લડત આપશે. ખેડૂતોની લડાઈ અમારી લડાઈ છે, અને અમે આ સંઘર્ષમાં હંમેશા તેમની સાથે છીએ,” સોરઠીયાએ જણાવ્યું. કેજરીવાલની આવતીકાલની આ મુલાકાત ખેડૂતો અને પાર્ટીના કાર્યકરોમાં નવી ઊર્જા જગાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.