કેજરીવાલને જેલમાં અપાશે ઇન્સ્યુલિનના 4 યુનિટ એઈમ્સના 5 ડોક્ટરો રાખશે તેના સ્વાસ્થ્ય પર નજર

  • April 26, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. કોર્ટના આદેશ બાદ કેજરીવાલના સ્વાસ્થ્યની દેખરેખ માટે એઈમ્સના 5 ડોક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવવામાં આવ્યું છે. આ મેડિકલ બોર્ડની રચના 23 એપ્રિલે કરવામાં આવી હતી. કેજરીવાલની 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે પછી તે 10 દિવસ સુધી ઇડીની કસ્ટડીમાં રહ્યા બાદ કોર્ટે કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા હતા.

મેડિકલ બોર્ડનું નેતૃત્વ મુખ્ય ડોક્ટર નિખિલ ટંડન કરી રહ્યા છે. આ એ જ ડોક્ટર છે જેમને તિહાર જેલના ડીજીના પત્ર પર કેજરીવાલના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એઈમ્સ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા.કેજરીવાલને સોમવાર (22 એપ્રિલ)થી દરરોજ લંચ પહેલાં 2 યુનિટ લો-ડોઝ ઇન્સ્યુલિન અને રાત્રે જમતાં પહેલાં 2 યુનિટ ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું છે. કેજરીવાલ હજુ સુધી મેડિકલ બોર્ડને મળ્યા નથી. ટૂંક સમયમાં મેડિકલ બોર્ડની ટીમ તિહાર જેલમાં જશે અને કેજરીવાલનું ચેકઅપ કરી શકશે.


તિહાર જેલના ડોકટરો દરરોજ કેજરીવાલનું શુગર લેવલ ચેક કરે છે અને તેમને દેખરેખ હેઠળ રાખે છે. કોર્ટના આદેશ મુજબ કેજરીવાલને માત્ર ઘરનું રાંધેલું ભોજન આપવામાં આવી રહ્યું છે. હાલમાં દિલ્હીના સીએમની તબિયત સારી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર જેલમાં કેજરીવાલનું શુગર લેવલ સતત વધી રહ્યું હતું. તેમનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું હતું. આ પહેલા કેજરીવાલને ઇન્સ્યુલિન ન આપવાના મુદ્દે આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકરો અને નેતાઓએ તિહાર જેલમાં પ્રદર્શન કર્યું હતું. પાર્ટીના કાર્યકરો તિહારની બહાર ઇન્સ્યુલિનના ડોઝ લેવા અને જેલ પ્રશાસન સામે પ્રતિકાત્મક વિરોધ કરવા એકઠા થયા હતા. આપ નેતાઓએ તિહાર જેલના અધિકારીઓને કેજરીવાલને ઇન્સ્યુલિન આપવાનું કહ્યું હતું.


આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલની અંદર ધીમી મૃત્યુ તરફ ધકેલવામાં આવી રહ્યા છે. પક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે અધિકારીઓ તેમને ઇન્સ્યુલિન આપવાનો ઇનકાર કેમ કરી રહ્યા છે. જોકે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ દાવાને ફગાવી દીધો હતો. તેણે કેજરીવાલના આહાર અને ઇન્સ્યુલિનની જરૂરિયાત અંગે જેલ અધિકારીઓના અહેવાલને ટાંક્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application