ગુજરાતમાં હાલ એસઆઈઆર હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે બીએલઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ એસઆઈઆરની કામગીરીથી કંટાળીને કોડીનારના છારા ગામમાં શિક્ષકની ફરજ બજાવતા અને બીએલઓએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. બીએલઓએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ સુસાઈડ નોટ બીએલઓએ પોતાની પત્નીને સંબોધીને લખી છે.
મળતી માહિતી મુજબ, કોડીનારના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ અરવિંદ મૂળજી વાઢેર (ઉં.વ.40)એ આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે આ પગલું ભર્યું હતું.
પત્નીને સંબોધીને સુસાઇડ નોટ લખી
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. અરવિંદ વાઢેર છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ દુઃખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અરવિંદ વાઢેરે લખેલી સુસાઈડ નોટ વાંચો

BLOને પડી રહેલી મુશ્કેલીઓ
શાળા/સરકારી ફરજ સાથે વધારાનું ચૂંટણી કામ સંભાળવાનું દબાણ
રાત્રે મોડા સુધી કામ અને વહેલી સવારે ફિલ્ડમાં જવાની ફરજ
ટાર્ગેટ સમયસર પૂર્ણ કરવા અધિકારીઓનું દબાણ
વારંવાર ફોન કોલ, વોટ્સએપ મેસેજથી સતત મોનીટરિંગ
માર્ગસુવિધા, પરિવહન અને સુરક્ષાનો અભાવ
બાળકો, વડીલો અને ઘરકામ વચ્ચે કામગીરીમાં સંતુલન રાખવાની મુશ્કેલી