બગદાણામાં નવનીત બાલધિયા નામના યુવાન પર 29 ડિસેમ્બરની રાત્રિએ આઠ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર દ્વારા કરવામાં આવ્યો હોવાનું નવનીત બાલધિયાએ આક્ષેક કર્યો હતો. જેને લઈને કોળી સમાજ નવનીત બાલધિયાના સમર્થનમાં ઉતર્યો છે. કોળી સમાજના નેતાઓ પણ આ ઘટનાને લઈને રોષ ઠાલવી રહ્યા છે અને એક બાદ એક નેતા નવનીત બાલધિયાને મળ્યા હતા. આજે કોળી સમાજના નેતાઓએ આ મામલે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા અને આ ઘટનાની તપાસ માટે એસઆઈટી રચવાની માંગ કરી હતી.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના 1 જાન્યુઆરી, 2026ના રોજ ખબર અંતર પૂછવા ગયેલા રાજુલાના ધારાસભ્યએ આ મામલે સોમાવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. આજે સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને આવી પહોંચ્યા બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માગ કરી હતી.
બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ કરવાની માગ સાથે આજે કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
શું છે સમગ્ર મામલો?
બગદાણામાં આઠ લોકોએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહિરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેણે જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહિરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.