મહારાષ્ટ્રની મહાયુતિ સરકારના વરિષ્ઠ મંત્રી અને એનસીપી નેતા છગન ભુજબળે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની મહત્વાકાંક્ષી માઝી લડકી બહેન યોજના (લાડકી બહેન યોજના) રાજ્યની અન્ય સરકારી યોજનાઓ પર સીધી અસર કરે છે. આ પહેલીવાર છે જ્યારે મહાયુતિ સરકારના કોઈ મંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે આ યોજનાને કારણે નાણાકીય કટોકટી આવી છે.
ભુજબળે જણાવ્યું હતું કે લગભગ તમામ રાજ્ય વિભાગો હાલમાં ભંડોળની કટોકટીનો સામનો કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આ યોજના પર મોટાપાયે ખર્ચ થવાથી અન્ય કલ્યાણકારી કાર્યક્રમો માટે પૂરતા ભંડોળનો અભાવ છે. લડકી બહેન યોજના પર આશરે રૂ.40,000થી રૂ.45,000 કરોડ ખર્ચવામાં આવી રહ્યા છે. આથી, જો આટલી મોટી રકમ એક જ યોજના પર ખર્ચવામાં આવે છે, તો સ્વાભાવિક રીતે અન્ય કાર્યક્રમો પર અસર થશે.
આનંદચા શિધા યોજનાના ભવિષ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, પાત્ર મહિલાઓને દર મહિને રૂ.1,500ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ રકમ વધારીને રૂ.2100 પ્રતિ માસ કરવાનું વચન આપ્યું હોવા છતાં, નબળી નાણાકીય સ્થિતિને કારણે આ વચન હજુ સુધી પૂર્ણ થયું નથી.
ભુજબળે તેમના વિભાગની લોકપ્રિય "આનંદચા શિધા" યોજનાના ભવિષ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. 2022માં દિવાળી દરમિયાન શરૂ કરાયેલી આ યોજના, કેસરી રેશનકાર્ડ ધારકોને માત્ર રૂ.100માં ચાર આવશ્યક ખાદ્ય ચીજોનું પેકેટ પૂરું પાડે છે. આ યોજનાનો વાર્ષિક ખર્ચ આશરે રૂ.500 કરોડ છે અને સરેરાશ 16 મિલિયન પરિવારોને લાભ થાય છે. ભુજબળે કહ્યું કે લાડકી બહેન યોજનાના ઊંચા ખર્ચને કારણે, આ વખતે આનંદચા શિધા યોજનાનો અમલ કરવો મુશ્કેલ લાગે છે.
તેમણે એમ પણ જણાવ્યું કે તેમના વિભાગની બીજી એક યોજના, શિવ ભોજન થાળી પણ મુશ્કેલીમાં છે. આ યોજના હેઠળ, બે લાખ જરૂરિયાતમંદ લોકોને દરરોજ દસ રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવે છે. આ માટે વાર્ષિક રૂ.140 કરોડની જરૂર પડે છે. પરંતુ અમને ફક્ત રૂ.70 કરોડ મળ્યા છે. આથી, ભવિષ્યમાં પરિસ્થિતિમાં સુધારો થવાની આશા ઓછી છે. શિવ ભોજન થાળીમાં બે રોટલી, એક શાક, એક દાળ અને એક વાટકી ચોખાનો સમાવેશ થાય છે. શહેરોમાં વાસ્તવિક ખર્ચ રૂ.50 અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ.35 છે, જેનો તફાવત રાજ્ય સરકાર સબસિડી તરીકે ભોગવે છે. રાજ્યના બજેટના આંકડા પણ ભુજબળની ચિંતાઓને સમર્થન આપે છે. નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં, મહારાષ્ટ્રની મહેસૂલ ખાધ રૂ.45,890.86 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે પાછલા વર્ષના અંદાજિત રૂ.20,050.69 કરોડની ખાધ કરતાં બમણી છે. દરમિયાન, રાજકોષીય ખાધ રૂ.1,36,234.62 કરોડ સુધી પહોંચી ગઈ છે.