દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ 12 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી છે. જોકે, અનિવાર્ય સંજોગો સિવાય પોલીસ કર્મચારીઓને રજા મળશે નહીં. આ અંગે DGPએ તમામ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યો છે.
પહેલા મોદી સોમનાથ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 અને 11 જાન્યુઆરીનાં રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે. 2 દિવસીય પ્રવાસને લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમ્યાન સોમનાથ સ્વાભિમાન પર્વની પણ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં 108 અશ્વો વચ્ચે વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે. તેમજ 2 કિમી લાંબા ભવ્ય રોડ-શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
2 કિમી લાંબી યાત્રા યોજાશે
ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે. આ યાત્રા અંદાજે 2 કિમી લાંબી હશે. આ યાત્રામાં આગળ અને પાછળ 108 અશ્વો હશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભાને સંબોધન કરશે.
સોમનાથ સર્કિટ હાઉસમાં રોકાણ કરશે
વડાપ્રધાન 10 જાન્યુઆરીના રોજ સોમનાથ ખાતે તૈયાર કરાયેલ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. તા. 11 જાન્યુઆરીના રોજ સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે. તેમજ સોમનાથ મંદિરમાં જળાભિષેક, ધ્વજપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની પૂજા અર્ચના કરવામાં આવશે.