અમરેલીના મોટા કણકોટ ગામેથી સિંહણનો મૃતદેહ મળ્યો: વન વિભાગે તપાસ અને પેનલ PM ની કાર્યવાહી હાથ ધરી
અમરેલીના મોટા કણકોટ ગામેથી સિંહણનો મૃતદેહ મળ્યો: વન વિભાગે તપાસ અને પેનલ PM ની કાર્યવાહી હાથ ધરી
October 09, 2025 09:05 PM
અમરેલી જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ માટે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે, જેને પગલે વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
વન વિભાગે હાથ ધરી તપાસ
ઘટનાસ્થળ પર ટીમ: સિંહણનો મૃતદેહ મળ્યાની જાણ થતાં જ લીલીયા રેન્જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
પીએમ માટે રવાનગી: મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ (PM) માટે ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.
મોતનું કારણ: વન વિભાગ દ્વારા સિંહણના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. પેનલ PM રિપોર્ટ આવ્યા બાદ જ સિંહણના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
પીએમ કર્યાં બાદ મૃતદેહના નમૂના એકત્ર કરીને વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. સિંહણના મૃત્યુના ચોક્કસ કારણો જાણવા માટે વન વિભાગની ટીમો દ્વારા સ્થળ પર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના સ્થાનિક ખેડૂતોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
વન વિભાગ એ દિશામાં પણ તપાસ કરી રહ્યું છે કે, સિંહણનો મૃતદેહ કેટલા સમયથી આ વિસ્તારમાં પડ્યો હતો. આ તપાસનો મુખ્ય હેતું સિંહણના મૃત્યુ પાછળના કારણો અને સંજોગોને સ્પષ્ટ કરવાનો છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ઇન્ચાર્જ ડીસીએફ યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, "અમારી ટીમને માહિતી મળતા જ આરએફઓ અને એસીએફ સહિતના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે. તપાસ ચાલી રહી છે અને પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિંહણનું મોત કેવી રીતે થયું તે અંગેની તપાસ પ્રગતિમાં છે."