કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એઆઈસીસીના સભ્ય મુકુલ વાસનિક રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે રાજકોટમાં કિસાન સંમેલન યોજાશે. બાદમાં અલગ અલગ શહેરમાં કાર્યક્રમ યોજાશે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં આ વર્ષે 5 લાખ 40 હજાર કૂપોષિત બાળકો છે. માર્ચ-2025ના રિપોર્ટ મુજબ 18 હજારથી વધુ બાળકોના જન્મ થયાના 24 કલાકમાં મોત થયા છે.
આંગણવાડીમાં પોષણ કીટથી બાળકો વંચિત રહે છે
વધુમાં જણાવ્યું હતું કે, 83 હજારથી વધુ બાળકો જન્મ થયાના એક વર્ષ સુધી જીવિત રહી ન શક્યા. આંગણવાડીમાં પોષણ કીટથી બાળકો વંચિત રહે છે. 2023માં 381 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં 52 ટકા એવા ખેડૂતો આત્મહત્યા કરી છે. ગુજરાતમાં ત્રણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે પણ એક પણ ખેડૂતે અત્યારસુધી મુલાકાત લીધી નથી. 33 ટકા પોલીસની જગ્યા આજે પણ ખાલી છે. ત્યાં કોઈપણ ભરતી થઈ નથી.
નશીલી દવા મોટા પ્રમાણમાં મળી આવે છે
વધુમાં જણાવ્યું હતું કે, નશીલી દવા મોટા પ્રમાણમાં મળી આવે છે. સુરક્ષાની વચ્ચે લોકોના ઘરે દારૂ પહોંચાડવામાં આવે છે. ગુજરાત સરકાર પ્રગતિના આંકડા દે છે પણ આ આંકડા આપતી નથી. કૃષિ વીમા યોજના અહીં લાગુ નથી. પાકના ભાવ 2022 સુધી બેગણા થઈ જશે એવું વડાપ્રધાને કહ્યું હતું. પરંતુ હજી સુધી થયા નથી. અમારી માંગ છે કે, એમએસપી કાનૂન બનાવવામાં આવે. સરકાર પોતાની રીતે ખેડૂતોને રાહત આપે છે.
ગુજરાતની ભૂમિના કણ કણમાં કોંગ્રેસની વિચારધારા
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિના કણ કણમાં કોંગ્રેસની વિચારધારા રહેલી છે. અહીં ગાંધીજી અને સરદાર પટેલ રહ્યા છે. ગુજરાતના લોકો ગાંધીજી અને સરદાર પટેલની વિચારધારાથી પૂરી રીતે સમર્પિત છે. અમે અમારી વિચારધારાને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. એક સમયે નિશ્ચિતપણે ગુજરાતના લોકો કોંગ્રેસની વિચારધાર પર પરત ફરશે.