રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી હતી કે રેપો રેટ 5.25 ટકા પર યથાવત રહેશે. આ નિર્ણયના પરિણામે લોન વ્યાજ દરમાં કોઈ ફેરફાર થશે નહીં, અને લોકોને કોઈ રાહત મળશે નહીં. ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ તેનું તટસ્થ વલણ જાળવી રાખ્યું છે, એટલે કે આરબીઆઈ ભવિષ્યમાં જરૂર પડ્યે વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો કરવા માટે તૈયાર છે. સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો વેપાર કરાર ભારતની નિકાસને નોંધપાત્ર વેગ આપશે.
રેપો રેટ ઉપરાંત, આરબીઆઈ એ એસડીએફ (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) અને એમએસએફ (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી) પણ યથાવત રાખ્યા છે. એસડીએફ 5 ટકા અને એમએસએફ 5.50 ટકા પર રાખવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ભારત વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) માટે એક પસંદગીનું સ્થળ છે. દેશના અર્થતંત્ર અંગે, સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર અને વૃદ્ધિ હાલમાં મજબૂત સ્થિતિમાં છે. આરબીઆઈ એ જણાવ્યું હતું કે દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4 ટકા સુધી પહોંચવાના માર્ગ પર છે.
સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે દેશમાં ફુગાવો નિયંત્રણમાં છે. નાણાકીય વર્ષ 2026 માં દેશનો છૂટક ફુગાવાનો દર 2 ટકાથી વધીને 2.1 ટકા થયો છે. આરબીઆઈ એ ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ 2.9 ટકાથી વધારીને 3.2 ટકા કર્યો છે. આરબીઆઈ ગવર્નરે નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ 3.9 ટકાથી વધારીને 4 ટકા કર્યો છે. બીજા ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ 4 ટકાથી વધારીને 4.2 ટકા કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બરમાં વ્યાજદર 0.25 ટકા ઘટાડીને 5.25 ટકા કર્યા હતા. આરબીઆઈ જે દરે બેંકોને લોન આપે છે એને રેપો રેટ કહેવાય છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે.
2025માં વ્યાજ દરોમાં ચાર વારમાં 1.25 ટકાનો ઘટાડો
-ફેબ્રુઆરી 2025માં વ્યાજ દરોને 6.5 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યા હતા
-મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરવામાં આવ્યો હતો
-બીજી વાર એપ્રિલમાં થયેલી મીટિંગમાં પણ વ્યાજ દર 0.25 ટકા ઘટાડવામાં આવ્યો
-જૂનમાં ત્રીજી વાર આરબીઆઈ દ્વારા દરોમાં 0.50 ટકા નો ઘટાડો કરવામાં આવ્યો હતો
-ડિસેમ્બરમાં 0.25 ટકા ના ઘટાડા પછી વ્યાજ દરો 5.25 ટકા પર આવી ગયા હતા