દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરીને દ્વારકાધીશ મંદિરે રજાના દિવસોમાં ભક્તજનો શ્રીકૃષ્ણના શરણે આવતા હોય છે, ત્યારે હાલ જ નાતાલની રજાઓ પૂરી થઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં લોકો દ્વારકા જિલ્લામાં આવ્યા હતા અને શિવરાજપુર બીચ, બેટ-દ્વારકા, સુદર્શન, દ્વારકાધીશ મંદિર સહિતના સ્થળો પર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ગત બે દિવસ પહેલા જ ઉતરાયણ પર્વ નિમિતે દ્વારકાધીશ મંદિરે એક લાખથી વધુ ભક્તો ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવવા પહોંચ્યા હતા અને ખાસ કરીને મકરસંક્રાંતિ પર્વ અને અગિયારસ બન્ને એકસાથે ઘણા સમય બાદ આવ્યું છે તેનું પણ એક વિશેષ મહત્વ હતું.
ઘણા સમય બાદ મકરસંક્રાંતિ અને અગ્યારસનો સુમેળ સર્જાયો હોવાથી ભક્તજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો મકરસંક્રાંતિના દિવસે દાનની સાથોસાથ દેવ-દર્શનનું પણ ખૂબ જ મહત્વ છે ત્યારે દ્વારકાધીશ મંદિરે કાળીયા ઠાકોરના આર્શીવાદ લેવા અસંખ્ય ભક્તજનો કતારમાં જોવા મળ્યા હતા.
દ્રારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ,બેટ દ્વારકા, શિવરાજપુર બીચ મોમાઈ બીચ,હર્ષદ, સુદર્શન બ્રીજ સહિતના સ્થળોએ ઉતરાયણના પર્વે ભક્તજનો સહેલાણીઓએ ઉમટી પડ્યા હતા.

મકરસંક્રાંતિના દિવસે દ્વારકાધિશને ધ્વજારોહણનું પણ ખૂબ જ મહત્વ હોય છે દ્વારકાધીશને ધ્વજારોહણ પણ છેલ્લા બે દિવસમાં વધારે જોવા મળી હતી જેને લીધે હોટલ, ગેસ્ટ હાઉસ, જ્ઞાતિની વાડીઓ,હોમ સ્ટે, રેસ્ટોરન્ટોમાં હકડેઠઠ માનવ મેદની જોવા મળી હતી.
નાતાલના તહેવારોની ભીડ પાંચ જાન્યુઆરી સુધી દ્વારકામાં જોવા મળી હતી.ત્યારબાદ શિવરાજપુર બીચમાં રાજ્ય કક્ષાનો પતંગોત્સવના લીધે સમગ્ર રાજ્યમાંથી અસંખ્ય પતંગપ્રેમીઓ શિવરાજપુર બીચ ઉમટી પડ્યા હતા.

મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તજનો ગોમતીમાં સ્નાન કરી દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. છેલ્લા બે દિવસથી વ્હેલી સવારથી જ ભક્તજનો ૫૬ સીડીએ કતારમાં જોવા મળ્યા હતા.દ્રારકાધિશ મંદિરના બન્ને ગેઈટ પર ભક્તજનોની લાંબી લાંબી કતારો લાગી હતી. ખાસ કરીને ધ્વજારોહણ કરનારા પરીવારજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
દ્રારકાની સાથોસાથ નાગેશ્વર જ્યોતિર્લિંગ,શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, સુદર્શન બ્રીજ, દાંડી હનુમાન,બેટ દ્વારકા સહિતના સ્થળોએ બે દિવસ ભારે ભીડ જોવા મળી રહી છે.