BREAKING NEWS

ધનકુબેર ભિખારી: માંગીલાલ છે ત્રણ મકાન, ત્રણ રિક્ષા, એક કારનો માલિક

  • January 19, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્દોરના પ્રસિદ્ધ સરાફા બજારમાં વર્ષોથી લાકડાની સ્લાઇડિંગ ગાડી પર બેસીને ભીખ માંગતા દિવ્યાંગ ભિખારી માંગીલાલ અંગે એવો ખુલાસો થયો છે જેણે સમગ્ર પ્રશાસન અને સ્થાનિક નાગરિકોને ચોંકાવી દીધા છે. બહારથી અત્યંત લાચાર દેખાતા માંગીલાલ હકીકતમાં કરોડોની સંપત્તિના માલિક હોવાનું સામે આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની રેસ્ક્યુ ટીમે તપાસ હાથ ધરતાં તેની પાસે ત્રણ પાકાં મકાન, ત્રણ રિક્ષા અને એક ડિઝાયર કાર હોવાનું બહાર આવ્યું છે.

સરાફા બજારમાં આવનારા લોકો માટે માંગીલાલ એક જાણીતો ચહેરો હતો. પીઠ પર થેલો લટકાવી, જમીન પર ઘસડાઈને ચાલતા અને કોઈની પાસે જબરદસ્તી કર્યા વગર ભીખ માંગતા માંગીલાલને જોઈને લોકો સ્વેચ્છાએ દાન આપતા હતા. તેની દેખાતી લાચારીના કારણે કોઈને પણ શંકા જતી ન હતી કે તેની આર્થિક સ્થિતિ મજબૂત હોઈ શકે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે માંગીલાલ પાસે ત્રણ પાકાં મકાન છે. ભગત સિંહ નગરમાં 16×45 ફૂટનું ત્રણ માળનું વિશાળ મકાન, શિવનગર વિસ્તારમાં આશરે 600 સ્ક્વેર ફૂટનું બીજું મકાન અને અલવાસ વિસ્તારમાં 1 બીએચકે ફ્લેટ તેની માલિકીના છે. આ ઉપરાંત, તેની પાસે ત્રણ રિક્ષા અને એક સ્વિફ્ટ ડિઝાયર કાર પણ છે, જેને તે ભાડે ચલાવવા આપી આવક મેળવે છે.

સ્થાવર મિલકત ઉપરાંત, માંગીલાલ વ્યાજવટાવનો વ્યવસાય પણ કરતો હોવાનું સામે આવ્યું છે. તેણે રેસ્ક્યુ ટીમ સમક્ષ કબૂલાત કરી કે તે દરરોજ સરાફા બજારમાં ભીખ માંગવા ઉપરાંત વેપારીઓને વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરવા જતો હતો. આ રીતે તેની દૈનિક આવક 400 થી 500 રૂપિયા સુધી પહોંચી જતી હતી.

વિશેષ વાત એ છે કે પ્રશાસને અગાઉ તેની દિવ્યાંગતાને ધ્યાનમાં રાખીને રેડ ક્રોસ સોસાયટી મારફતે તેને 1 બીએચકે મકાન ફાળવ્યું હતું. તે એક આશ્રમમાં પણ રહી ચૂક્યો હતો, પરંતુ વધુ કમાણીની લાલચે તેણે ભિક્ષાવૃત્તિ ચાલુ રાખી હતી.

રેસ્ક્યુ ટીમના નોડલ અધિકારી દિનેશ મિશ્રાએ જણાવ્યું કે લાંબા સમયથી માંગીલાલ વિરુદ્ધ ફરિયાદો મળી રહી હતી અને તેની જીવનશૈલી શંકાસ્પદ જણાતી હતી. જિલ્લા કાર્યક્રમ અધિકારી રજનીશ સિંહાએ સ્પષ્ટ કર્યું કે ભિક્ષાવૃત્તિ નાબૂદી માટેનું અભિયાન સતત ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સંપત્તિ હોવા છતાં ખોટી લાચારી બતાવી ભીખ માંગવી ગુનો છે અને તેનાથી સાચા જરૂરિયાતમંદોને અન્યાય થાય છે.

આ ઘટનાએ પ્રશાસનને ફરી એકવાર ભિક્ષાવૃત્તિ સામે કડક પગલાં લેવા પ્રેરિત કર્યું છે, જેથી વ્યવસ્થાનો દુરુપયોગ રોકી શકાય અને ખરેખર જરૂરિયાતમંદોને મદદ મળી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application