જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા ૮૦ ફૂટ રોડ પાસે શાક માર્કેટ નજીક એક અત્યંત દુ:ખદ અને કરૂણ બનાવ સામે આવ્યો છે. વાયરિંગ અથવા વીજ થાંભલામાં અચાનક ઉતરેલા વીજ પ્રવાહ (શોટ) ના કારણે ૨ ગૌમાતા વીજળીનો આંચકો લાગતા ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી.
આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને સમગ્ર ખોડિયાર કોલોનીમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક ગૌપ્રેમીઓ અને રહીશો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વીજ તંત્રની કથિત બેદરકારી સામે ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.