જામનગર સ્થિત એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશન શિલ્ડ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર જામનગર તથા ઇન્ડિયન એરફોર્સ દ્વારા શનિવારે સાંજે વિસ્તૃત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાત્રે ૮ થી ૮:૩૦ બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું અને વિજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો, દ્વારકામાં પણ ૭:૪૫ થી ૮:૩૦ સુધી બ્લેકઆઉટ કરાયું હતું. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અણધારી પરિસ્થિતિ, ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટેની સજ્જતા અને તાલમેલ ચકાસવાનો હતો. કટોકટીના સમયે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેનું સંકલન કેટલું મજબૂત છે તે સુનિશ્ચિત કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.
જામનગર શહેરમાં જિલ્લા કલેકટર કેતન ઠકકરની સુચનાથી શનિવારે રાત્રે ૮ થી ૮:૩૦ બ્લેકઆઉટ રાખવામાં આવ્યું હતું, વહિવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ તંત્રએ બ્લેકઆઉટની કામગીરી કરી હતી, રસ્તા ઉપર વાહનોની લાઇટો પણ બંધ જોવા મળી હતી, જો કે કેટલાક વાહન ચાલકોએ લાઇટો ચાલું રાખી હતી, ડીકેવી પાસે એક સંસ્થા દ્વારા લોકોને વાહનની લાઇટ બંધ રાખવા સમજાવવામાં આવ્યા હતાં, ૮ વાગ્યે સાયરન વાગતા જ શનિવારે વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને લોકોએ પણ પોતાના ઘરની લાઇટો બંધ કરી દીધી હતી, આમ જામનગરમાં બીજી વખત બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું.
જેમાં જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે હવાઇ હુમલો થયો હતો, જેની શનિવારે સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા.અને સામાન્ય ઇજા પામેલા ૮ જેટલા નાગરિકોને બચાવી સારવાર અપાઈ હતી જ્યારે ૧૨ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચતા કરવામાં આવ્યા હતા સાથે જ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ લવાયો હતો.
હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા તંત્ર એલર્ડ મોડ પર આવી ગયું હતું. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
ગણતરીની મીનીટમાં જ ફાયર, સિવિલ ડિફેન્સ તથા પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. વિવિધ ટીમો અને આપદામિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી.અને રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.તેમજ મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી.
આ મોકડ્રિલમાં મહેસુલ, માર્ગ અને મકાન, આર.ટી.ઓ, આરોગ્ય, પીજીવીસીએલ, હોમગાર્ડ, જી.એસ.આર.ટી.સી., સિવિલ ડિફેન્સ, એન.સી.સી, સહિતના વિભાગો જોડાયા હતાં. નોંધનિય છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે જામનગર જિલ્લા સહિત રાજ્યભરમાં ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ યોજાઇ હતી. ઓપરેશન અભ્યાસ બાદ ઓપરેશન શિલ્ડનું આ બીજું આયોજન કરવામાં આવ્યું હતું.