જામનગરમાં સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો ફલાય ઓવર જામનગરમાં તૈયાર થઇ ગયો છે, રૂ.૨૨૯ કરોડના ખર્ચે બનેલા આ ફલાય ઓવરનું આખરે ઉદઘાટન થવા જઇ રહ્યું છે, સુત્રોના જણાવ્યા અનુસાર ગુરૂવાર તા.૨૦ના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે આ ફલાય ઓવર ખુલ્લો મુકવામાં આવશે તેમ જાણવા મળ્યું છે, જો કે સાંજ સુધીમાં મુખ્યમંત્રીનો મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ આવી જવાની શકયતા છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલીક આ ફલાય ઓવર પુરો કરી દેવા સુચના આપી દેવામાં આવી છે.
આ અંગે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુરૂવાર તા.૨૦ના રોજ મુખ્યમંત્રી આ ફલાય ઓવરનું ઉદઘાટન કરવા આવે તેવી શકયતા છે, અમે તો અમારી તૈયારી શરૂ કરી દીધી છે, સીએમઓ કાર્યાલયમાંથી હજુ આખા કાર્યક્રમની રૂપરેખા આવી નથી, પરંતુ જેમ બને તેમ ઝડપથી આ ફલાય ઓવર લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવશે.
કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા બ્રિજની નીચેના ભાગે પેવર રોડ તૈયાર કરી દેવામાં આવ્યો છે, ખાસ કરીને સાતરસ્તા સર્કલ પાસે ગોળાકારમાં આકર્ષક ચીત્રો બનાવીને લોકોનું ઘ્યાન દોરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે, ખાસ કરીને ફલાય ઓવર ઉપર બંને બાજુ લાઇટીંગ ગોઠવાઇ ગઇ છે અને ત્યાં પણ પેવર રોડ પુરો કરી દેવામાં આવ્યો છે, ગુરૂદ્વારા ચોકડી અને અંબર ચોકડી પાસે બ્રિજના પીલોરમાં ખાસ ચીત્રો દોરવામાં આવી રહ્યા છે, બ્રિજના નીચેના ભાગે પેવર બ્લોકની કામગીરી પણ પુરજોશમાં છે ત્યારે આગામી તા.૨૦ના રોજ અત્યારે તો ફલાય ઓવર લોકો માટે ખુલ્લો મુકાય તેવી પુરી શકયતા છે, જો કે કદાચ સતાવાર જાહેરાત આજ સાંજ સુધીમાં થઇ જશે.