જામનગરના ખંભાલીંડા તથા વાંકીયા સીમમાં મોરમ-ખનીજ ચોરીનું કારસ્તાન ખાણ ખનીજ વિભાગે પકડી પાડયુ છે અને જેસીબી ટ્રેકટરો સહિત ૧ કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
જામનગર તાલુકાના ખંભાલિડા ગામ તેમજ વાંકિયા ગામની નદીના વિસ્તારમાં ગેરકાયદે રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાનું જામનગરની ખાણ ખનીજ વિભાગની કચેરીને જાણ થતાં જામનગરની ખાણ ખનીજ વિભાગ ની કચેરીના ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુત ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રોયલ્ટી ઇન્સ્પેક્ટર નિખિલભાઇ, સર્વેયર રમેશભાઈ, રોયલટી ઇન્સ્પેક્ટર આનંદભાઈ, માઇન્સ સુપરવાઇઝર ભાવેશભાઈ અને નૈતિકભાઈ, તેમજ સર્વેયર રજનીકાંતભાઈ વગેરે દ્વારા ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે ચેકિંગ દરમિયાન બે જેસીબી મશીનો મારફતે ખનીજની ચોરી કરવામાં આવતી હતી, અને જુદા જુદા સાત ટ્રેક્ટર માં ભરીને ગેરકાયદે પરિવહન કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી ખાણ ખનીજ વિભાગની ટીમેં બે જેસીબી મશીનો, અને સાત ટ્રેકટર સહિત રૂપિયા એકાદ કરોડની માલ સામગ્રી કબજે કરી લેવામાં આવી છે, અને મામલામાં તપાસ શરૂ કરાઇ છે. ઉપરાંત આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.