ગર્ભમાં બાળકનું મૃત્યુ થયા બાદ માતાની તબિયત લથડતા દમ તોડ્યો
ગર્ભમાં બાળકનું મૃત્યુ થયા બાદ માતાની તબિયત લથડતા દમ તોડ્યો
October 18, 2025 10:51 AM
સ્ત્રી અને નવજાત બાળકનો મૃત્યુદર ઘટાડવા માટે સરકાર દવારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે અમરેલીની પ્રસૂતાના ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થયા બાદ તેણીની તબિયત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવતા તેણીનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના જેસીંગપરા રામપરા શેરી નંબર-૩માં રહેતા ગૌરીબેન વિજયભાઈ રાઠોડ (ઉં.વ.૨૪)ની સગર્ભાને તા.15ના પ્રસુતિનો દુખાવો ઉપડતા તાકીદે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં સોનોગ્રાફી કરાવવામાં આવતા બાળકના ધબકારા ઓછા આવતા હોવાથી ગર્ભમાં મૃત્યુ થયાનું નિદાન થતા પરિણીતાની તબિયત વધુ લથડતા ત્યાંથી અમરેલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ગંભીર સ્થિતિ હોવાથી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં રીફર કરવામાં આવતા દાખલ કરવામાં આવી હતી. ગઈકાલે તબિયત ક્રિટિકલ બનતા પીડીયુ ના પીએમએસએસવાય બ્લોકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદ ચાલુ સારવારે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમરેલી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના પતિ મજૂરી કામ કરે છે અને પરિણીતાની પ્રથમ જ ડિલિવરી હતી. ગર્ભમાં રહેલા બાળક બાદ સગર્ભાનું પણ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે.