દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું, જેમાં પાઇલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનું મોત થયું. દુબઈના અલ મક્તૂમ એરપોર્ટ પર ડેમો ફ્લાઇટ દરમિયાન આ અકસ્માત થયો હતો. ભારતીય વાયુસેનાએ ક્રેશના કારણની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. બીજી તરફ તેમના વતન હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં માતમ છવાયું છે.
નોંધનીય છે કે નમાંશ સ્યાલ હૈદરાબાદ એરબેઝ પર પોસ્ટેડ હતા અને પોતાની શિસ્ત અને અનુશાસન માટે લોકપ્રિય હતા. તેમના પરિવારમાં પત્ની અફસાન કે જેઓ પણ એરફોર્સ ઓફિસર છે અને તેમને એક પાંચ વર્ષની પુત્રી છે. નમાંશ સ્યાલના પિતા જગન નાથ રિટાયર્ડ આર્મી ઓફિસર છે.જગન નાથ સેવા નિવૃત્ત થયા બાદ તેઓ હિમાચલ પ્રદેશમાં એજ્યુકેશન ડીપાર્ટમેન્ટમાં આચાર્યની સેવા આપી રહ્યા છે. જયારે તેમની માતા બીના દેવી આ સમયે દીકરા વહુને મળવા હૈદરાબાદ પહોચી હતી અને આ સમાચાર મળતા તેઓ પડી ભાંગ્યા હતા. આ ઘટનાથી કાંગડા ખીણમાં વસતા લોકો સ્તંભ બની ગયા છે તેમ છતાં તેમને પોતાના પનોતા પુત્ર નમાંશ સ્યાલ પર ખુબ જ ગર્વ છે. જો કે નમાંશ સ્યાલની અંતિમ વિધિ ક્યારે અને ક્યાં થશે તે વિગતો મળી શકી નથી.
મુખ્યમંત્રી સુખુએ ઊંડો શોક વ્યક્ત કર્યો
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વિટર પર લખ્યું, "દુબઈ એર શોમાં તેજસ વિમાન દુર્ઘટનામાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના બહાદુર પુત્ર નમન સ્યાલના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. દેશે એક બહાદુર, સમર્પિત અને હિંમતવાન પાયલોટ ગુમાવ્યો છે. હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.