જંગલેશ્વરમાં ટીપી રોડ ઉપર ડિમોલિશન પૂર્વે મહાપાલિકાએ કેવિયેટ દાખલ કરી
જંગલેશ્વરમાં ટીપી રોડ ઉપર ડિમોલિશન પૂર્વે મહાપાલિકાએ કેવિયેટ દાખલ કરી
February 06, 2026 03:40 PM
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૬ના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી રોડ ઉપરના દબાણો દૂર કરવાની ગતિવિધિઓ તેજ બની છે અને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજકોટ મહાપાલિકાએ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં જનરલ કેવિએટ પણ દાખલ કરી દીધી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ મનપાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કોઇ પણ વ્યક્તિ, સંસ્થા અગર પેઢી વિગેરે સામાવાળા વિરૂધ્ધ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાખલ કરાયેલી જનરલ કેવિએટ નં.૩૨૯ વર્ષ- ૨૦૨૫માં જણાવ્યું છે કે, અમે રાજકોટ મહાનગરપાલિકા સ્ટેચ્યુટરી બોડી છીએ. વોર્ડ નં.૧૬માં આજી નદીના પટમાં આવેલ જંગ્લેશ્વર વિસ્તારમાં તથા ટી.પી. સ્કીમ નં.૬ રાજકોટના ૧૫ મીટર પહોળાઇના ટી.પી. રોડ ઉપર કોઇક આસામીઓ દ્વારા રહેણાંક તેમજ ધંધાકીય દબાણો કરેલ હોવાનું ધ્યાનમાં આવતાં જેઓને સ્પીકીંગ ઓર્ડર તથા કારણદર્શક નોટીસો પાઠવેલ છે. જે પ્રોસીડીંગ્સ અટકાવવા આવા ઇસમો ગેરકાયદેસર રીતે મનાઇ હુકમની માંગણી કરે તેવી શક્યતા છે. તેમજ આ ઇસમો સંયુક્ત રીતે કે તે પૈકી કોઇ પણ અમારી સામે દાવો કરી મનાઇ હુકમની માંગણી કરે તેવી પુરી શક્યતાં જણાતા કેવિએટ દાખલ કરાઇ છે.