રાજકોટમાં એનએસયુઆઇના કાર્યકરો દ્રારા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીના મોઢા પર શાહી લગાવવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગિરીશ ભીમાણી વિરૂદ્ધ વિદ્યાર્થીનીઓની છેડતીના ગંભીર આક્ષેપો લાગ્યા હતા જે બાદ ભીમાણીને ગજેરા સંકુલ દ્રારા તમામ પદ પરથી દૂર કરાયા હતા. જોકે આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ખાતે આવેલી માતૃ મંદિર કોલેજ ખાતે આજ રોજ એનએસયુઆઇના કાર્યકરો પહોંચ્યા હતા. ત્યાં તેઓએ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીનો ભારે વિરોધ કર્યો હતો અને તેમના મોઢા પર શાહી લગાવી દીધી હતી. તેમજ ગિરીશ ભીમાણી મુર્દાબાદના નારા લગાવી તેમનું પૂતળું પણ સળગાવ્યું હતું. આ વિરોધ પાછળ મુખ્ય વાત એ છે કે, અમરેલી જિલ્લાના નિયામક તરીકે ફરજ બજાવતા ગિરીશ ભીમાણીએ વિદ્યાર્થીઓની છેડતી કર્યાના આક્ષેપ થયા હતા.

આબુ પ્રવાસ દરમિયાન ભીમાણી પણ ત્યાં પહોંચ્યા હતા
૧૨ અને ૧૩ જાન્યુઆરીના આબુ પ્રવાસ દરમિયાન ભીમાણી પણ ત્યાં પહોંચ્યા હતા અને નશાની હાલતમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરી હતી તેવા ગંભીર આક્ષેપો લાગ્યા હતા. આ ઘટના બાદ ગજેરા સંકુલ દ્રારા ગિરીશ ભીમાણીને તાત્કાલિક ધોરણે તમામ પદેથી પદભ્રષ્ટ્ર કરવામાં આવ્યા હતા. જોકે આ બાબતે સમાધાન થઈ જતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી નહોતી.
ગિરીશ ભીમાણી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે
સમગ્ર ઘટનાને લઈને એનએસયુઆઇ દ્રારા માંગણી કરવામાં આવી છે કે, આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. તેમજ આબુ ટુર દરમિયાન હોટલના સીસીટીવી ચકાસવામાં આવે અને ગિરીશ ભીમાણી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે