ઇન્ડિયન એસોસિએશન ઑફ ઑક્યુપેશનલ હેલ્થની ૭૬મી રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન એસોસિએશન ઑફ ઑક્યુપેશનલ હેલ્થ, જામનગર શાખા દ્વારા પદમ બેન્ક્વેટ એન્ડ લોન, એરપોર્ટ રોડ, જામનગર, ગુજરાત ખાતે આજથી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
આ કોન્ફરન્સની થીમ વ્યવસાયિક આરોગ્ય, સુરક્ષા અને સુખાકારીનું પુન:પરિભાષન: વર્તમાન પડકારોનું માર્ગદર્શન અને ભવિષ્યના ઉકેલોનું ઘડતર" છે, જે ઝડપી ઔધોગિકીકરણ, ટેકનોલોજીકલ વિકાસ તથા ઉદ્ભવતા કાર્યસ્થળ જોખમો અને તેમની નિવારણ પ્રક્રિયાઓના સંદર્ભમાં વ્યવસાયિક આરોગ્યના બદલાતા પરિપ્રેક્ષ્યને પ્રતિબિંબિત કરે છે. આ કોંફરન્સ રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય માળખામાં શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્ય અને સામાજિક-માનસિક સુખાકારીના મહત્વપૂર્ણ એકીકરણ પર કેન્દ્રિત છે, જેથી મજબૂત અને ઉત્પાદનક્ષમ કર્મચારી દળનું નિર્માણ થઈ શકે.
આ કોંફરન્સ વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ છે, અને વ્યવસાયિક આરોગ્ય, સુરક્ષા અને સુખાકારી ક્ષેત્રમાં દેશના સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચોમાંથી એક તરીકે ઓળખાય છે. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ૫૫૦ કરતાં વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કોંફરન્સમાં પૂર્વ-પરિષદ વર્કશોપ્સ, ૪૪ મહેમાન વક્તાઓના સત્રો અને સિમ્પોઝિયમ, ૫ મુખ્ય પ્રવચન સત્રો તથા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા ૭ ગૌરવપૂર્ણ ઓરેશનો યોજાશે. ઉપરાંત, વ્યવસાયિક આરોગ્ય નિષ્ણાતો દ્વારા ૧૦૬ વૈજ્ઞાનિક સંશોધન પેપર્સ અને ઇ-પોસ્ટર રજૂ કરવામાં આવશે.
કોન્ફરન્સ દરમિયાન વ્યવસાયિક આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રની નવીનતમ તકનીકો દર્શાવતું ઔદ્યોગિક પ્રદર્શન પણ યોજાશે. આ કોન્ફરન્સ દરમિયાન ૮૦થી વધુ પ્રતિષ્ઠિત નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કરશે, જે કામદારોના આરોગ્ય અને સુખાકારીને આર્થિક પ્રગતિ તથા પર્યાવરણીય સંરક્ષણના કેન્દ્રસ્થાને રાખીને નવી દિશાઓ માટે પ્રેરણા આપશે.
આ કોંફરન્સના આયોજક સમિતિને ગૌરવ છે કે પી. એમ. શાહ, નિયામક, ઔધોગિક સલામતી અને આરોગ્ય નિયામક કચેરી, ગુજરાત સરકાર, આ પરિષદના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાંત, મહેમાન વિશેષ તરીકે ડો.નંદિની દેશાઈ, ડીન, એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સને ભવ્ય સફળતા અપાવવા માટે કોન્ફરન્સ ડિરેક્ટર ડો. આર. રાજેશ, આયોજક અધ્યક્ષ ડો. કીર્તિ ચુડાસમા તથા આયોજક સચિવ ડો. ભાવેશ એસ. ખોડડિયાના નેતૃત્વ હેઠળ આયોજન સમિતિ સંપૂર્ણ સમર્પણ અને મહેનત સાથે કાર્ય કરી રહી છે.