BREAKING NEWS

સ્તન કેન્સરની સારવારમાં નવી ક્રાંતિ: ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવ્યો લાઈટ-કંટ્રોલ્ડ નેનોબોટ

  • August 07, 2026 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વભરમાં મહિલાઓમાં થતા કેન્સર અને તેનાથી થતા મૃત્યુઓમાં સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) એક મુખ્ય કારણ છે. અત્યાર સુધી વપરાતી પરંપરાગત કીમોથેરાપીની ઘણી ગંભીર આડઅસરો થાય છે. તેમાં ઘણીવાર વધુ પડતી દવા આપવી પડે છે, દવા ગાંઠના ઊંડાણ સુધી પહોંચી શકતી નથી અને શરીરના સ્વસ્થ કોષોને પણ નુકસાન પહોંચે છે. આ સમસ્યાઓના ઉકેલ માટે ભારતીય વૈજ્ઞાનિકોએ એક અદ્યતન 'મલ્ટિફંક્શનલ નેનોબોટ' વિકસાવ્યો છે, જે ખાસ રોશની (પ્રકાશ) વડે નિયંત્રિત થાય છે અને સ્તન કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવી શકે છે. હાલમાં વપરાતી નેનો-મેડિસિન સામાન્ય રીતે કેન્સરની ગાંઠ સુધી પહોંચવામાં મર્યાદિત રહે છે. ઉપરાંત, અગાઉના મોટાભાગના મશીનો કે બોટ્સ અલ્ટ્રાવાયોલેટ કે દૃશ્યમાન પ્રકાશ પર ચાલતા હતા, જે શરીરની પેશીઓમાં ઊંડે સુધી જઈ શકતા નહોતા અને સ્વસ્થ કોષોને નુકસાન કરતા હતા. તેનાથી વિપરીત, આ નવા નેનોબોટ્સ બાહ્ય કે આંતરિક સંકેતોથી સંચાલિત થાય છે. તે શરીરના અન્ય ભાગોને નુકસાન પહોંચાડ્યા વગર માત્ર કેન્સરગ્રસ્ત કોષો પર જ ચોક્કસ અને અસરકારક સારવાર કરે છે. મોહાલી સ્થિત 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી'ના વૈજ્ઞાનિકોએ નેનોરોબોટિક્સ અને ફોટોથેરાપીને જોડીને આ અત્યાધુનિક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. આ નેનોબોટ્સ બાહ્ય ઇન્ફ્રારેડ પ્રકાશ (એનઆઈઆર)નો ઉપયોગ કરીને કેન્સરના કોષો સુધી પહોંચી શકે છે. તે આ પ્રકાશને ગરમીમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવે છે અને પ્રકાશની દિશામાં આગળ વધીને ગાંઠ સુધી પહોંચે છે.આ નેનોબોટ્સમાં વિશેષ લાઈટ-સેન્સિટિવ દ્રવ્યો ઉમેરવામાં આવ્યા છે. જ્યારે તેના પર એનઆઈઆર લેસર રોશની ફેંકવામાં આવે છે, ત્યારે તે સ્થાનિક ગરમી અને પ્રતિક્રિયાશીલ ઓક્સિજન (આરઓએસ) ઉત્પન્ન કરે છે. આ સિવાય, નેનોબોટ્સની સપાટી પર 'ફોલિક એસિડ' લગાડેલું હોવાથી તે સ્તન કેન્સરના કોષોને તરત જ ઓળખી લે છે અને ફક્ત તેના પર જ હુમલો કરે છે. જ્યારે આ નેનોબોટ પર 980 એનએમ એનઆઈઆર લેસર પાડવામાં આવે છે, ત્યારે તાપમાનના તફાવતને કારણે તે લેસરના સ્ત્રોત તરફ સક્રિયપણે ગતિ કરે છે. એક તરફ ઉત્પન્ન થતી ગરમી (ફોટોથર્મલ હીટિંગ) અને બીજી તરફ ઓક્સિજન આધારિત અસર (ફોટોડાયનેમિક આરઓએસ) આ બંને ભેગા મળીને કેન્સરના કોષોનો સંપૂર્ણ નાશ કરે છે. એકલી એક સારવાર કરતા આ સંયુક્ત ટેકનોલોજીથી કેન્સરની ગાંઠને વધુ ઝડપથી અને સફળતાપૂર્વક નિર્મૂળ કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application