પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં ફરી એકવાર લોકશાહીનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં ગુરુવારે દેશમાં પ્રથમ વખત સંસદીય ચૂંટણી માટે મતદાન થશે. વિદ્યાર્થીઓના વિદ્રોહ અને શેખ હસીનાના દેશ છોડ્યાના લગભગ દોઢ વર્ષ બાદ યોજાઈ રહેલી આ ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. આ ચૂંટણીમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ છતાં હિંસાની આશંકાઓને નકારી શકાય તેમ નથી.
એક જ તબક્કામાં મતદાન અને બેલેટ પેપરનો ઉપયોગ
ભારતની ચૂંટણી પ્રક્રિયાથી વિપરીત, બાંગ્લાદેશમાં અલગ-અલગ તબક્કાઓને બદલે માત્ર એક જ દિવસમાં આખા દેશમાં મતદાન પૂર્ણ કરવામાં આવશે. ગુરુવારે સવારે 7:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. આ વખતે ચૂંટણીમાં EVM ને બદલે બેલેટ પેપર (મતપત્ર) નો ઉપયોગ કરવામાં આવશે. મતદારોએ એકસાથે બે વોટ આપવાના રહેશે: એક સંસદીય ચૂંટણી માટે અને બીજો 'રેફરન્ડમ' (લોકમત) માટે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે 4 વાગ્યાથી ગણતરી શરૂ થશે અને 13 ફેબ્રુઆરીએ પરિણામો જાહેર કરવામાં આવશે.
સંસદનું માળખું અને બેઠકોનું ગણિત
બાંગ્લાદેશની સંસદને 'જાતીય સંસદ' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કુલ 350 સભ્યો હોય છે અને તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. પ્રજા સીધી રીતે 300 બેઠકો પર મતદાન કરે છે, જ્યારે બાકીની 50 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ મહિલા પ્રતિનિધિઓની પસંદગી ચૂંટાયેલા 300 સભ્યોના મતોના આધારે પ્રમાણસર પ્રતિનિધિત્વ દ્વારા કરવામાં આવે છે. આ વખતે એક ઉમેદવારના અવસાનને કારણે 299 બેઠકો પર જ મતદાન થશે.
બહુમતી માટે કેટલો આંકડો જરૂરી?
બાંગ્લાદેશમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ કે ગઠબંધન પાસે 300 માંથી ઓછામાં ઓછી 151 બેઠકો હોવી અનિવાર્ય છે. મહિલાઓ માટેની અનામત 50 બેઠકોની પસંદગી પાછળથી થતી હોવાથી, સરકાર બનાવવાની પ્રક્રિયામાં તે બેઠકોની કોઈ સીધી ભૂમિકા હોતી નથી. આ ચૂંટણીમાં BNP અને બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામી સહિત કુલ 59 નોંધાયેલા પક્ષોના 2028 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
શું છે 'જુલાઈ નેશનલ ચાર્ટર રેફરન્ડમ'?
ચૂંટણીની સાથે જ આ વખતે એક મહત્વનો લોકમત (રેફરન્ડમ) પણ લેવામાં આવી રહ્યો છે. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર 'જુલાઈ નેશનલ ચાર્ટર' પર જનતાનો અભિપ્રાય માંગશે. આ માળખું દેશના જૂના "સરમુખત્યારશાહી માળખા" ને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને જમાત-એ-ઈસ્લામી સહિત 25 થી વધુ રાજકીય પક્ષોએ આ ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય દેશમાં પારદર્શક અને મજબૂત લોકશાહી સ્થાપિત કરવાનો છે.
ચૂંટણીમાં કેટલા ઉમેદવારો અને પક્ષો ભાગ લઈ રહ્યા છે?
બાંગ્લાદેશમાં કુલ ૧૨૭ મીલીયન મતદારો છે. ૫૯ નોંધાયેલા પક્ષો ભાગ લઈ રહ્યા છે, અને ૨,૦૨૮ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમાંથી ૨૪૯ સ્વતંત્ર ઉમેદવારો છે. જોકે, આગામી ચૂંટણીઓમાં, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP), જેણે અગાઉની ચૂંટણીઓમાં ભાગ લીધો ન હતો, તે ૨૮૮ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.