ગયા ઓગસ્ટમાં પીએચડીના પ્રવેશ માટે ક્વોલિફાઇડ થયેલા ઋષિકેશ મેસિયા નામના વિદ્યાર્થીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અંગ્રેજી ભવનના ડોક્ટર નિહારિકા રાવતને ગાઈડ તરીકે ફાળવ્યા હતા. પરંતુ મને પૂછ્યા વગર અથવા તો મારી પૂર્વ મંજૂરી લીધા વગર મને સ્ટુડન્ટ કેવી રીતે ફાળવવામાં આવ્યો છે? તેમ જણાવીને ડોક્ટર નિહારિકા રાવતે આ વિદ્યાર્થીને સ્વીકાર્યો નથી.
યોગ્ય પ્રોસિજર ફોલો કર્યા વગર સ્ટુડન્ટની ફાળવણીનો આ વિવાદ યુનિવર્સિટીની આંતરિક બાબત હોવા છતાં તેનો ભોગ વિદ્યાર્થી બની રહ્યો છે. ગયા ઓગસ્ટ માસથી પીએચડીના વિદ્યાર્થી તરીકે લાયક બનેલા અને ગાઈડ ફાળવવા છતાં હજુ તેનો હાથ કોઈએ ચાલ્યો નથી. આ વિદ્યાર્થીને અંગ્રેજી ભવનની જ્યારે ડીઆરસી નવેસરથી મળે ત્યારે તેને નવા ગાઇડની ફાળવણી કરવાની સૂચના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીજી સેકશનના વિભાગીય અધિકારી દ્વારા લેખિતમાં આ સંદર્ભે સૂચના આપવામાં આવી હોવા છતાં તાજેતરમાં મળેલી અંગ્રેજી ભવનની બેઠકમાં ઋષિકેશ મેસિયાને કોઈ ગાઈડ ફાળવવામાં આવ્યા નથી. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ છાસીયા આસ્થા દીપકકુમાર અને ડાંગર મયુર બાબુભાઈ ને ગાઈડ ફાળવવામાં આવ્યા છે.
અંગ્રેજી ભવનમાં યોજાયેલી ડી.આર.સી ની બેઠકમાં ડીન ડોક્ટર સુભાષ મોરી, વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા પ્રોફેસર પારુલ બેન પોપટ, પ્રોફેસર કમલ મહેતા, પ્રોફેસર રીસીરાજ વાઘેલા સહિતનાઓ હાજર રહ્યા હતા.
પ્રોસિજરની ભૂલમાં કોનો વાંક છે? એ બાબતે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. પરંતુ પીએચડી માટે માન્ય જાહેર કરવામાં આવેલ વિદ્યાર્થીને ચાર ચાર મહિના સુધી ગાઈડથી વંચિત રાખવામાં આવે છે તે બાબત માટે કમસેકમ વિદ્યાર્થી તો જવાબદાર નથી.