રાજ્ય સરકાર દ્વારા ઈ-નોંધણી પ્રક્રિયા અંગે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં થતી દરેક ઈ-નોંધણી માટે દસ્તાવેજ દીઠ રૂ.100 પ્રક્રિયા ફી વસૂલવામાં આવશે. આ નિર્ણય નોંધણી અધિનિયમ, 1908 હેઠળ લેવામાં આવ્યો છે અને તેને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો હોવાનું મહેસૂલ વિભાગે જાહેર કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા 3 ઓગસ્ટ 1987ના મહેસૂલ વિભાગના જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. આ જાહેરનામામાં ફેરફાર કરીને નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જેમાં ઈ-નોંધણી માટે અલગથી પ્રક્રિયા ફી નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધી ઈ-નોંધણી માટે કોઈ અલગ પ્રક્રિયા ફી લેવામાં આવતી નહોતી, પરંતુ હવે સરકાર દ્વારા આ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
સરકારના જાહેરનામા અનુસાર, ફીના કોષ્ટકમાં ક્રમાંક 28 બાદ નવો ક્રમાંક 29 (XXIX) ઉમેરવામાં આવ્યો છે. આ નવા ક્રમાંક હેઠળ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે “ઈ-નોંધણી માટે પ્રક્રિયા ફી પ્રતિ દસ્તાવેજ રૂ.100” વસૂલવામાં આવશે. આ ફી દરેક દસ્તાવેજ માટે અલગથી લાગુ પડશે, એટલે કે એકથી વધુ દસ્તાવેજોની ઈ-નોંધણી કરાવવામાં આવશે તો દરેક દસ્તાવેજ માટે રૂ.100 ચૂકવવાના રહેશે.
મહેસૂલ વિભાગે વધુમાં સ્પષ્ટતા કરી છે કે આ રૂ.100ની રકમ માત્ર પ્રક્રિયા ફી તરીકે લેવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી અગાઉ જે મુજબ લાગુ હતી તે યથાવત રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે નાગરિકોને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ઉપરાંત હવે આ નવી પ્રક્રિયા ફી પણ ચૂકવવી પડશે.
સરકારનું કહેવું છે કે ઈ-નોંધણી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બને તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સરકારી સેવાઓને વધુ મજબૂત બનાવવા અને ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.