શીત યુદ્ધ દરમિયાન એપ્રિલ 1989માં આગ લાગ્યા પછી ડૂબી ગયેલી સોવિયેત સબમરીન કે-278 કોમસોમોલેટ્સ, નોર્વેજીયન સમુદ્રના ઊંડાણમાં હજુ પણ ખતરો છે. નોર્વેના રેડિયેશન એન્ડ ન્યુક્લિયર સેફ્ટી ઓથોરિટીના મરીન રેડિયોલોજિસ્ટ જસ્ટિન ગ્વિને દ્વારા તાજેતરના સર્વેક્ષણમાં પુષ્ટિ મળી છે કે સબમરીન 35 વર્ષ પછી પણ કિરણોત્સર્ગી ઝેર ઓકી રહી છે. આ સબમરીન માત્ર એક લશ્કરી જહાજ જ નહોતી, પરંતુ તેમાં એક પરમાણુ રિએક્ટર અને બે પરમાણુ ટોર્પિડો પણ હતા.
તે એક 'તરતો પરમાણુ વીજ પ્લાન્ટ' હતો. આ અકસ્માતમાં મોટાભાગના ક્રૂ સભ્યો મૃત્યુ પામ્યા હતા અને ત્યારથી કાટમાળ દરિયાઈ પર્યાવરણ માટે ખતરો રહ્યો છે. વૈજ્ઞાનિકોએ સબમરીનની આસપાસ કોરલ અને સ્પંજનો અભ્યાસ કર્યો, જેમાં રેડિયેશનનું સ્તર સામાન્ય કરતા થોડું વધારે જોવા મળ્યું છે.
સબમરીનમાંથી અને તેની આસપાસના વેન્ટિલેશન પાઈપોમાંથી કિરણોત્સર્ગી પદાર્થોના પ્લુમ લીક થતા જોવા મળ્યા છે. પાણીમાં સ્ટ્રોન્ટીયમ અને સીઝિયમ જેવા ખતરનાક આઇસોટોપ્સનું ઉચ્ચ સ્તર મળી આવ્યું છે. જોકે, બચાવની વાત એ છે કે આ તત્વો વિશાળ સમુદ્રના પાણીમાં ઝડપથી ઓગળી જાય છે, જેના કારણે કિરણોત્સર્ગનું સ્તર થોડા મીટરની અંદર ઘટી જાય છે. હાલમાં, શસ્ત્રો-ગ્રેડ પ્લુટોનિયમ લીકેજના કોઈ પુરાવા મળ્યા નથી.