ભારતીય ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ઓલામાં કામ કરતા એક એન્જિનિયરે ઝેર પીને આત્મહત્યા કરી છે. મરતા પહેલા, તેણે 28 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેના સિનિયર્સ પર ત્રાસ અને નાણાકીય શોષણનો આરોપ લગાવ્યો હતો. યુવાન એન્જિનિયરના ભાઈએ કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલ અને અન્ય સિનિયર્સ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ દાખલ કર્યો છે. ઓલાએ આ મામલે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. ઓલાએ જણાવ્યું હતું કે અરવિંદ ત્યાં કામ કરતો હતો, પરંતુ તેણે ક્યારેય નોકરી કે માનસિક ત્રાસ અંગે કોઈ ફરિયાદ નોંધાવી નથી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અરવિંદ 2022થી ઓલામાં હોમોલોગેશન એન્જિનિયર તરીકે કામ કરતો હતો. 28 સપ્ટેમ્બરના રોજ, તેણે બેંગલુરુમાં તેના ફ્લેટમાં ઝેર પી લીધું. જ્યારે તેના મિત્રો તેને મળવા ગયા, ત્યારે તેઓએ તેને બેચેન હાલતમાં જોયો. તેઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. તે જ દિવસે તેનું મૃત્યુ થયું.
અરવિંદના મૃત્યુ પછી, તેના ભાઈ અશ્વિનને 28 પાનાની સુસાઇડ નોટ મળી. તેમાં, અરવિંદે તેના ઉપરી અધિકારીઓ, સુબ્રત કુમાર દાસ અને ભાવિશ અગ્રવાલ પર ઓફિસમાં ત્રાસ આપવા અને દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. નોંધમાં, અરવિંદે લખ્યું હતું કે તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા અને પગાર અને ભથ્થાં નકારવામાં આવતા હતા, જેના કારણે તેમણે આત્મહત્યા જેવું કઠોર પગલું ભર્યું.
કંપની ખાતામાં પૈસા જમા કરાવ્યા
અહેવાલ મુજબ, અશ્વિને જણાવ્યું હતું કે અરવિંદના મૃત્યુના બે દિવસ પછી, રૂ.17,46,313 તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમણે કંપનીનો સંપર્ક કર્યો, ત્યારે દાસે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તેઓ અન્ય વરિષ્ઠ અધિકારીઓના ઘરે ગયા, પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં. આનાથી પરિવારને કંપનીના હેતુઓ પર શંકા ગઈ.
ત્યારબાદ, અશ્વિને 6 ઓક્ટોબરે ભાવિશ અગ્રવાલ, દાસ અને અન્ય લોકો સામે કેસ દાખલ કર્યો, જેમાં તેમના ભાઈની હત્યા કરવાનો શંકા વ્યક્ત કરવામાં આવી. એફઆઈઆરમાં, અશ્વિને આરોપ લગાવ્યો હતો કે અરવિંદને ઓફિસમાં સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેના ઉપરી અધિકારીઓ આ માટે સીધા જવાબદાર હતા. તેમના પરિવારે પોલીસને દાસ અને અગ્રવાલ સહિતના આરોપી અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી હતી અને તેમને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો.
ઓલાએ શું કહ્યું
ઓલાએ એન્જિનિયરના મૃત્યુ પર શોક વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું. "અમારા સાથીદાર અરવિંદના દુર્ભાગ્યપૂર્ણ અવસાનથી અમને દુઃખ થયું છે અને આ મુશ્કેલ સમયમાં અમારા વિચારો તેમના પરિવાર સાથે છે," કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું.
કંપનીના સ્થાપક ભાવેશ અગ્રવાલ સામે દાખલ કરાયેલા કેસનો જવાબ આપતા, કંપનીએ કહ્યું, "ઓલા ઇલેક્ટ્રિક અને તેના અધિકારીઓના પક્ષમાં રક્ષણાત્મક આદેશો પસાર કરવામાં આવ્યા છે. પરિવારને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે, કંપનીએ તાત્કાલિક તેમના બેંક ખાતામાં સંપૂર્ણ અને અંતિમ ચુકવણીની સુવિધા આપી. ઓલા ઇલેક્ટ્રિક તેમની ચાલુ તપાસમાં અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે અને તમામ કર્મચારીઓ માટે સલામત, આદરણીય અને સહાયક કાર્યસ્થળ જાળવવા માટે પ્રતિબદ્ધ છે."