સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આગામી સપ્તાહથી હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ વર્ષે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોંડલ અને શહેર કક્ષાનો કાર્યક્રમ રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં યોજાશે. જેને લઈને આજરોજ બપોર બાદ કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૫ ઓગસ્ટના સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્યમાં હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં પણ આગામી સપ્તાહથી દરેક તાલુકા સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારના દરેક મકાનો ઉપર તિરંગો લહેરાય અને સ્વતંત્ર પર્વની ઉજવણી સારી રીતે થાય તે દિશામાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને આજે બપોરે મહત્વની વીડિયો કોન્ફરન્સ તમામ જિલ્લાઓમાં મળવાની છે. તેમાં દેશ ભક્તિને ધ્યાનમાં રાખીને તેમજ સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સમીક્ષા હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લા કક્ષાની સ્વાતંત્ર પર્વની ઉજવણી આ વખતે ગોંડલ ખાતે યોજાનાર છે. જેમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવશે. સાથોસાથ શહેરના ચૌધરી હાઈસ્કૂલમાં નિવાસી અધિક કલેકટર જે.એચ. બારોટના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સ્વતંત્ર પરિવારોના વારસદારોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવશે.