રાજ્યની 149 માંથી સૌરાષ્ટ્ર -કચ્છની માત્ર 15 નગરપાલિકાને 6 કરોડ મળશે

  • April 15, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તારીખ 10 માર્ચના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્યની 149 નગરપાલિકાઓને અ, બ, ક અને ડ કેટેગરીમાં વર્ગીકૃત કરી હતી. નવી મહાનગરપાલિકાઓની અને જિલ્લાઓની રચના પછી થયેલા ફેરફારને ધ્યાનમાં રાખી નગરપાલિકાઓની નવેસરથી રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આવી નવી વર્ગીકૃત થયેલી રાજ્યની 149 નગરપાલિકાઓને કેટેગરી મુજબ વધુમાં વધુ છ કરોડ અને ઓછામાં ઓછા રૂપિયા 3 કરોડની સહાય બિલ્ડીંગ નિર્માણના કાર્ય માટે આપવાની જાહેરાત કરી છે. રાજ્યની કુલ 149 નગરપાલિકાઓમાંથી સૌરાષ્ટ્ર- કચ્છની માત્ર 15 નગરપાલિકા અ વર્ગમાં આવે છે અને તેના કારણે આવી 15 નગરપાલિકાઓને જ રૂપિયા 6 કરોડની મહત્તમ મર્યાદાની સહાય મળવા પાત્ર બને છે. જૂની વ્યવસ્થા મુજબ નગરપાલિકાઓની કુલ સંખ્યા 156 હતી પરંતુ નવી રચના પછી તે ઘટીને 149 થઈ ગઈ છે.

સૌરાષ્ટ્ર કચ્છની જે 15 નગરપાલિકાઓ અ વર્ગમાં આવે છે તેમાં અમરેલી જિલ્લાની અમરેલી સાવરકુંડલા કચ્છ જિલ્લાની ભુજ અને અંજાર દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા અને ખંભાળિયા જુનાગઢ જિલ્લાની કેશોદ ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ બોટાદ જિલ્લાની બોટાદ ભાવનગર જિલ્લાની મહુવા અને પાલીતાણા રાજકોટ જિલ્લાની જેતપુર ગોંડલ અને ધોરાજી સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકાનો સમાવેશ થાય છે અને આ તમામ નગરપાલિકાઓને રુ. 6 કરોડની મર્યાદામાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માટે સહાય આપવામાં આવશે.

જેમને રૂપિયા પાંચ કરોડની મર્યાદામાં સહાય મળવાની છે તેવી સૌરાષ્ટ્ર કચ્છની 16 નગરપાલિકા છે અને તેમાં સુરેન્દ્રનગરની લીમડી થાનગઢ ચોટીલા ભાવનગર જિલ્લાની સિહોર રાજકોટ જિલ્લાની ઉપલેટા જસદણ મોરબી જિલ્લાની વાંકાનેર કચ્છ જિલ્લાની માંડવી ભચાઉ મુન્દ્રા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા જુનાગઢ જિલ્લાની માંગરોળ ગીર સોમનાથ જિલ્લાની ઉના અને કોડીનાર પોરબંદર જિલ્લાની રાણાવાવ અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકાનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્ર કચ્છની 24 નગરપાલિકાઓ એવી છે કે તે ક કેટેગરીમાં આવે છે અને સરકારી નોમ્સ મુજબ તેમને કચેરી બિલ્ડીંગ બાંધકામ માટે રુ. 4 કરોડની સહાય મળવા પાત્ર છે. આ 24 નગરપાલિકાઓમાં અમરેલી જિલ્લાની બગસરા જાફરાબાદ બાબરા લાઠી ધારી કચ્છ જિલ્લાની રાપર નખત્રાણા દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા ભાણવડ જામ રાવલ જામનગર જિલ્લાની ધ્રોલ જામજોધપુર કાલાવડ સિક્કા જુનાગઢ જિલ્લાની માણાવદર ચોરવાડ વિસાવદર ગીર સોમનાથ જિલ્લાની સુત્રાપાડા ચલાલા બોટાદ જિલ્લાની ગઢડા ભાવનગર જિલ્લાની ગારીયાધાર તળાજા રાજકોટ જિલ્લાની ભાયાવદર મોરબી જિલ્લાની હળવદ ટંકારા નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી અમરેલી જિલ્લાની ચલાલા દામનગર જુનાગઢ જિલ્લાની બાટવા વંથલી પોરબંદર જિલ્લાની કુતિયાણા બોટાદ જિલ્લાની બરવાળા ભાવનગર જિલ્લાની વલભીપુર મોરબી જિલ્લાની માળિયા મીયાણા નગરપાલિકાઓ સહિત સૌરાષ્ટ્રની કચ્છની 9 નગરપાલિકાઓ ડ વર્ગમાં આવતી હોવાથી તેમને 3 કરોડની સહાય મળવા પાત્ર બને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application