ચિત્રકૂટના સદગુરુ નેત્ર ચિકિત્સાલયના ડાયરેક્ટર અને પદ્મશ્રી ડો. બુધેન્દ્ર કુમાર જૈનની તબિયત અંગેના સમાચાર અત્યંત ચિંતાજનક છે. પ્રાપ્ત વિગતો મુજબ, તેઓ છેલ્લા 4 મહિનાથી મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં ફેફસાના કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. તેમની સ્થિતિ નાજુક હોવાથી આજે તેમને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈથી ચિત્રકૂટ પરત લવવામાં આવી રહ્યા છે. આ સમાચાર મળતા જ રાજકોટ, અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં ગુરુભક્તો અને સ્નેહીજનો તેમના દર્શન અને ખબર-અંતર પૂછવા માટે ચિત્રકૂટ તરફ રવાના થયા છે.
ડો. બી.કે. જૈન પાંચ દાયકાથી વધુ સમયથી શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે અને અંધત્વ નિવારણ ક્ષેત્રે પાયાનું કામ કર્યું છે. વર્ષ 2025માં તેમને તબીબી ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2025માં તેમની નિમણૂક એઈમ્સ રાયપુરના પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. તેમણે સદગુરુ નેત્ર ચિકિત્સાલયને વિશ્વસ્તરીય સંસ્થા બનાવવામાં અને ગ્રામીણ વિસ્તારોમાં લાખો ગરીબોની મફત સારવાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તમામ ગુરુભક્તો અને શુભેચ્છકો દ્વારા તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.