આવતીકાલે મહાસુદ પાંચમને શુક્રવારે એટલે કે તા.૨૩ જાન્યુઆરીના રોજ વસંતપંચમીનો શુભ દિવસ છે, આ દિવસે અનેક શુભ કાર્યો થઇ શકશે, જામનગરમાં સમુહ યજ્ઞોપવિત, લગ્નોત્સવ, દુકાનોના ઉદઘાટન, મકાનનું વાસ્તુ, ભુમી પુજન સહિતના અનેક શુભકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે, વળી આ વખતે તા.૧૭ મેથી ૧૫ જુન સુધી પુરૂષોતમ માસ હોવાથી લગ્નના કોઇ મુર્હુત આવવાના નથી એટલે કે કાલનો દિવસ ખુબ જ શુભ રહેશે અને શ્રીકૃષ્ણમ શરણમ મમની માળા કરવાથી લગ્ન યોગ પણ થશે.
વસંત ઋતુને ઋતુરાણી પણ કહેવાય છે, મા સરસ્વતીની કૃપા પણ વરશે, આ દિવસનું શુભ પવિત્ર મુર્હુત સુકનીયાળ તરીકે સંસ્કૃતિમાં સ્વીકારવામાં આવે છે, વસંતપંચમીના દિવસે જુના જમાનામાં ગુરૂકુળ અને ગુરૂ આશ્રમમાં અભ્યાસ કરવા માટેની શરૂઆત કરવામાં આવતી હતી, આ દિવસે શુભ કાર્યો કરવાથી સારૂ ફળ પણ મળે છે અને કેટલાક લોકો તેને વસંતોત્સવનું પણ સંબોધન કરે છે. વળી આવતીકાલે લક્ષ્મીજી અને સરસ્વતીજીનું પણ શુભ સંગમ થવાનું હોય તમામ મુર્હુત એટલે કે સગાઇ અને લગ્ન માટે પણ આ દિવસ ખાસ મહત્વનો છે.
કેટલાક લોકો શ્રી પંચમી, વસંત પંચમી, મદન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને રિવાજ પ્રમાણે વસંત પંચમીના દિવસે વણજોયુ મુર્હુત કહેવામાં આવે છે, કંઇપણ જોયા વિના આ દિવસે નવા કામો કરવાથી તેને સફળતા મળે છે. આ દિવસે વિદ્યાર્થીઓએ ખાસ કરીને મા સરસ્વતીજીની પુજા કરવી જોઇએ જેનાથી તેને એકાગ્રતા વધે છે, આ દિવસે સવારે બાજોઠ ઉપર તથા પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરીને ઓખા મુકીને સરસ્તીજીની છબી રાખવી અને ત્યારબાદ અગરબતી અને દિવો કરવો, માતાજીને મીઠાઇ ધરાવવાથી પણ વિદ્યા બળ મળે છે.
જામનગરમાં બે-ત્રણ સ્થળોએ સમુહ જનોઇનું પણ આયોજન કરવામાં આવ્યું છે, કેટલાક લોકો વસંત પંચમીના શુભ દિવસે નવા મકાનનું ઉદઘાટન, નવી ગાડી ખરીદે છે જયારે જામનગરમાં અનેક સ્થળોએ શુભ કાર્યો થતાં હોય છે. આ દિવસે વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાન તેમજ રાધાજીની મુર્તિનું પુજન કરવું, જે લોકોના લગ્ન ન થતાં હોય તેઓએ રાધા-કૃષ્ણનું પુજન કરવું.
વસંત પંચમીના દિવસે લક્ષ્મીજી અને સરસ્વતીજીનું પુજન કરવાથી લાભ
આવતીકાલે વસંત પંચમીનો પવિત્ર દિવસે છે ત્યારે લોકોએ ખાસ કરીને લક્ષ્મીજી અને સરસ્વતીજીનું પુજન કરવાથી ખુબ જ લાભ થાય છે, વળી આ દિવસે કૃષ્ણ શરણમ મમની માળા પણ કરી શકાય, માતાજીને મીઠાઇ ધરાવીને ક્ષમા યાચના માંગી શકાય, વિદ્યાર્થીઓએ મા સરસ્વતીજીનું પુજન કરવું જેનાથી અભ્યાસમાં એકાગ્રતા આવે છે. તા.૧૭ થી ૧૫ જુન સુધી અધિક માસ એટલે કે પુરૂષોતમ માસ આવે છે ત્યારે આ દિવસો દરમ્યાન લગ્ન મુર્હુત પણ નથી.