તાજેતરમાં થયેલા માવઠા ના કારણે પારાવાર નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે 10000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ માટે જે ખેડૂતોને નુકસાન થયેલું છે તેવા ખેડૂતોની અરજી સ્વીકારવાની કામગીરી ચાલુ છે. સાથોસાથ ચુકવણી કામગીરી પણ શરૂ થઈ ગઈ હોવાનું રાજકોટ જિલ્લા પંચાયતના સંયુક્ત ખેતીવાડી નિયામક દ્વારા જણાવાયું છે.
સંયુક્ત ખેતી નિયામકના જણાવ્યા મુજબ રાજકોટ વિભાગ હેઠળના સવા લાખ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં રૂપિયા 400 કરોડની ચુકવણી કરી દેવામાં આવી છે અને હજુ આ પ્રક્રિયા ચાલુ જ છે.
ખેતીવાડી વિભાગના સતાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટ વિભાગ હેઠળ છ જિલ્લામાં કુલ અંદાજે 400 કરોડથી વધુ સહાય સવા લાખથી પણ વધુ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ વિભાગ હેઠળ રાજકોટ મોરબી જામનગર દ્વારકા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે.
સવા લાખ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે તેમાં સૌથી વધુ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે .સુરેન્દ્રનગર જિલ્લામાં 35,000 જેટલા ખેડૂતોને 128 કરોડથી પણ વધુ રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લાના 36,000 થી વધુ ખેડૂતોને 117 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.
એક બાજુ અરજી કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે અને બીજી બાજુ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવા લાગ્યા છે. અરજી કરવાની સમય મર્યાદા તારીખ પાંચ ડિસેમ્બર સુધી સરકારે લંબાવી છે અને તેથી બાકી રહી ગયેલા ખેડૂતોએ તારીખ 5 ડિસેમ્બર સુધીમાં ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફત અરજી કરવાની રહેશે.
ભૂતકાળમાં સરકારે જાહેર કરેલા સહાય પેકેજોમાંથી મોટાભાગના કિસ્સામાં હજુ નાણા મળ્યા નથી તેવી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. બીજી બાજુ તાજેતરમાં જાહેર કરેલા રૂપિયા 10,000 કરોડના પેકેજમાં સહાય ચૂકવણી પણ શરૂ કરી દેવામાં આવી છે.